” બદ્રીનારાયણ મંદિર થી નીકળનારી રથયાત્રાના ભાગરૂપે નિજ મંદિરથી ભગવાન મોસાળમાં જવા રવાના”
રિપોર્ટ - નિમેષ સોની,ડભોઈ
વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ ડભોઇ નગરમાંથી શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતેથી ૧ લી જુલાઈના રોજ નીકળનારી રથયાત્રા ને લઈ પ્રથમ તબક્કો શરૂ થઇ ચૂક્યો છે.જેના ભાગરૂપે આજરોજ ભગવાન શ્રી બદ્રીનારાયણ નિજ મંદિરથી નીકળી કોટ વિસ્તાર બહાર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નિયત થયેલ મોસાળ ખાતે ભવ્ય શોભાયાત્રા સાથે જવા રવાના થયા. આ તબક્કે કુવારીકાઓ એ મોટી સંખ્યામાં માથા ઉપર કળશ લઇ ભગવાનના જય ઘોષ સાથે ઢોલ નગરાની ધૂમ સાથે બદ્રીનારાયણ નિજ મંદિરથી નીકળી વડોદરી ભાગોળ એસ.ટી ડેપો રોડ મહાલક્ષ્મી ચોક થઈ મોસાળ તરફ જતી આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચી હતી મોસાળમાં જતા ભગવાનની સાથે અનેક ભાવિક ભક્તો પણ જોડાયા હતા. નિજ મંદિરથી મોસાળ તરફ જવાના રૂટ ઉપર પોલીસ- જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનો નો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હવે બે દિવસ મોસાળમાં રહ્યા બાદ ભગવાન પરત નિજ મંદિરે પધારશે ત્યાં પૂજા અર્ચના કર્યા બાદ પહેલી જુલાઈના રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સાથે નીકળશે. આ પ્રસંગે પ્રજાપતિ બ્રહ્માકુમારી ની બહેનો, નગરપાલિકાના માજી પ્રમુખ ભાવનાબેન ભટ્ટ, સતીશભાઈ મિસ્ત્રી, સહિત નગરના ભક્તજનો મોટી સંખ્યામાં ભગવાનના મોસાળ ના વરઘોડા માં જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]