વિજયનગર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલક, રસોઇયા, મદદનીશની ભરતી કરવામાં આવશે - At This Time

વિજયનગર તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલક, રસોઇયા, મદદનીશની ભરતી કરવામાં આવશે


સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ના ખાલી જગ્યાવાળા મધ્યાહન ભોજન કેન્દ્રો ઉપર સંચાલક, રસોઈયા, મદદનીશની નિમણૂંક કરવાની હોય અરજીઓ મંગાવવામાં આવેલ છે. સરકારશ્રીના નિયત કરેલા માસિક ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે માનનીય સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મભય/૧૦૨૦૧૬/૪૧૫૧૪૧/આર તા:૦૩/૧૦/૨૦૧૬ની જોગવાઈઓની શરતોને આધીન કરવાની થાય છે.

 આ અંગેના અરજી ફોર્મ મામલતદાર કચેરી વિજયનગર ખાતેથી કામકાજના દિવસો દરમિયાન મળી શકશે. અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી પ્રમાણપત્રોની નકલ સાથેની અરજી ૭/૧૧/૨૦૨૨ સુધીમાં મધ્યાહન ભોજન યોજના શાખા વિજયનગર ખાતે મોકલી આપવાની રહેશે. નિયત નમુના સિવાયની અધુરી વિગત વાળી તેમજ સમયમર્યાદા બાદની અરજી સ્વીકારવામાં આવશે નહીં. સંભવિત રૂબરૂ મુલાકાતની તા. ૯/૧૧/૨૦૨૨ બુધવારના રોજ બપોરે ૧૨ કલાકનો રહેશે અને જેમાં અરજદારે અરજીને લગતા તમામ અસલ પુરાવા, પ્રમાણપત્ર તથા તેની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે. તેમજ સદરહુ તારીખ અને સમયે ગેરહાજર રહેનાર અરજદારનો નિમણૂંક અંગેનો કોઈ પણ દાવો પાછળથી ધ્યાને લેવામાં આવશે નહીં. એમ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી, વિજયનગરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.                 

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.