રાજકોટની યશ કલગીમાં ઉમેરાશે વધુ એક છોગુ: રાજકોટની તમામ ગ્રામ પંચાયતનું લાઈટ બિલ થશે શૂન્ય - At This Time

રાજકોટની યશ કલગીમાં ઉમેરાશે વધુ એક છોગુ: રાજકોટની તમામ ગ્રામ પંચાયતનું લાઈટ બિલ થશે શૂન્ય


ગ્રામ પંચાયતો ઉપર સોલાર રૂફટોપ લગાવવામાં રાજકોટ જિલ્લો અગ્રેસર, વધુ ૩૦ ગ્રામ પંચાયતોમાં કામગીરી પૂર્ણ થતાં રૂ.૯૦ હજારની પ્રતિ માસ થશે બચત

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
પેટ્રોલ, ડિઝલ અને કોલસા જેવા કુદરતી સંશાધનો મર્યાદિત છે જેથી પવન ઉર્જા, સૌ૨ ઉર્જા જેવી કુદરતી ઉર્જાનાં ઉપયોગ થકી પર્યાવરણના જતનની સાથે ગ્રામ પંચાયતનાં સ્વભંડોળમાં પણ બચત થાય તે હેતુથી રાજકોટ જિલ્લામાં ગુજરાત સરકારશ્રીની "સૂર્ય ઉર્જા" યોજના અન્વયે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેની આગવી પહેલ હેઠળ જિલ્લા પંચાયત હેઠળ આવતી કુલ ૫૮૫ ગ્રામ પંચાયત ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

જે અંતર્ગત ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટ સને ૨૦૨૨-૨૩ માંથી જસદણ તાલુકાની ૨ ગ્રામ પંચાયત, ઉપલેટા તાલુકાની ૭ ગ્રામ પંચાયત, જેતપુર તાલુકાની ૫ ગ્રામ પંચાયત, પડધરી તાલુકાની ૧ ગ્રામ પંચાયત, રાજકોટ તાલુકાની ૪ ગ્રામ પંચાયત, ધોરાજી તાલુકાની ૧ ગ્રામ પંચાયત, કોટડા તાલુકાની ૨ ગ્રામ પંચાયત, ગોંડલ તાલુકાની ૩ ગ્રામ પંચાયત, લોધીકા તાલુકાની ૧ ગ્રામ પંચાયત, જામકંડોરણા તાલુકાની ૨ ગ્રામ પંચાયત, વિંછીયા તાલુકાની ૨ ગ્રામ પંચાયત સહિત કુલ ૩૦ ગ્રામ પંચાયત ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની કામગીરી હાલ પૂર્ણ થઈ ગયેલ છે. આ કામગીરી ગ્રામ પંચાયત દિઠ ઈસ્ટોલેશનનો ખર્ચ પ્રતિ રકમ રૂ. ૧.૨૧ લાખ લેખે કુલ રકમ રૂ. ૩૬.૫ લાખ ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી દ્વારા ગ્રામ પંચાયતોને વિજળીની બાબતમાં સ્વનિર્ભર બનાવવા માટે પ્રથમ સ્તુત્ય પગલુ ભરવામાં આવ્યુ. ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન યોજના હસ્તક મંજુર કરીને જિલ્લાની પંચાયતોને એક નવી સુવિધા આપવા માટે પહેલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ ૩૦ ગ્રામ પંચાયત ખાતે સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ થઈ જતા, પ્રતિ ગ્રામ પંચાયત દીઠ અંદાજીત રકમ રૂ. ૩ હજાર થાય છે. જે વીજળી બીલ શુન્ય થઈ જતા, પ્રતિ ગ્રામ પંચાયત દિઠ અંદાજે રૂ. ૩ હજારની બચત તેમજ કુલ અંદાજીત બચત રકમ રૂ. ૯૦ હજાર પ્રતિ માસની થઈ શકશે. આગામી સમયમાં જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ફીટ કરી ગ્રામ પંચાયતને વિજ વપરાશમાં આત્મનિર્ભર કરવામાં આવશે.

અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં સોલાર પેનલ લાગી જતાં વીજ ઉત્પાદન અને વપરાશમાં સોલાર સિસ્ટમ થકી આત્મનિર્ભર બની ગઈ છે. આ પંચાયતોના વીજ બિલ ઝીરો થઈ જતા સરકારને પણ ફાયદો થશે અને વધુ વીજળી ગ્રીડમાં મોકલતા તેનાથી આવક પણ મળશે સાથે જ પર્યાવરણને પણ ફાયદો થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.