2થી 20 ટકાના વ્યાજે 7.40 કરોડ લેનારને 10 વ્યાજખોરે ઉઘરાણી કરી ધમકી આપી - At This Time

2થી 20 ટકાના વ્યાજે 7.40 કરોડ લેનારને 10 વ્યાજખોરે ઉઘરાણી કરી ધમકી આપી


રાજકોટમાં 55થી વધુ વ્યાજખોરો સામે ગુના નોંધાયા, 40થી વધુ વ્યાજખોરની ધરપકડ.

10 વ્યાજખોર પાસેથી 2થી 20 ટકાના વ્યાજે 7.40 કરોડ રૂપિયા લેનાર અંબિકા ટાઉનશિપમાં રહેતા દર્પણ મનસુખભાઇ મણવર નામના યુવાન પાસે વધુ નાણાં પડાવવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. એસબીઆઇના જનરલ ઇન્સ્યોરન્સમાં સર્વેયર તરીકે નોકરીની સાથે પ્રીમિયમ ગાડીઓ લઇ વેચાણ કરતા દર્પણભાઇની ફરિયાદ મુજબ, ધંધામાં ખેંચ આવતા તેને ભાવિક ગોવાણી, અંકિત ઉર્ફે બંટી ખંઢેરિયા, હર્ષદ ઉર્ફે મામા સોરઠિયા, રાજ મોરી, વિશ્વરાજસિંહ ચુડાસમા, જીતુ ભલાણી, આશિષ ગોસ્વામી, હિરેન નથવાણી, મનીષ મગન કણસાગરા, હેમલ અશોક મણવર નામના વ્યાજખોરો પાસેથી કુલ રૂ.7.40 કરોડ 2થી 20 ટકાના વ્યાજે લીધા હતા.

દસેય વ્યાજખોરો પાસેથી તોતિંગ વ્યાજે નાણાં લીધા બાદ તમામને કુલ રૂ.4,92,30,000ની રકમ ચૂકવી પણ આપી છે. ઉપરોક્ત તમામ વ્યાજખોરોને સમયસર વ્યાજની રકમ ચૂકવવા છતાં તેઓ પોતાની પાસેથી વધુ નાણાં પડાવવા માટે ઘરે આવી ધમકીઓ આપી પરિવારના સભ્યો પર દબાણ લાવી વ્યાજ અને મુદલ રકમ વસૂલવાની માગણી કરી પરેશાન કરી રહ્યા છે. અને જો રકમ નહિ ચૂકવો તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે. દરમિયાન વ્યાજખોરો સામેની ઝુંબેશ પોલીસે શરૂ કરતા તમામ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.