સરકારનો મહત્‍વનો નિર્ણય : 1 હજારથી વધુ લોકોની અવરજવર હોય તેવા સ્થળોએ CCTV લગાવાશે: 1 ઓગસ્ટથી અમલ કરાશે - At This Time

સરકારનો મહત્‍વનો નિર્ણય : 1 હજારથી વધુ લોકોની અવરજવર હોય તેવા સ્થળોએ CCTV લગાવાશે: 1 ઓગસ્ટથી અમલ કરાશે


રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રર નો સોમવારે 1 ઓગસ્ટથી અમલ કરાશે. જેમાં નાગરિકોને સુરક્ષા સલામતીમાં સામેલ કરવા જનભાગીદારીથી સી.સી.ટીવી કેમેરા સિસ્ટમ લગાડવા-પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજીયાત કરવાના હેતુથી અધિનિયમનો અમલ કરવા નિર્ણય કરાયો છે. પ્રથમ તબક્કે ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં મોટી સંખ્યામાં નાગરિકોની સલામતી તથા સુરક્ષામાં વધારો કરવા સી.સી.ટીવી કેમેરા લગાડવામાં આવેલા છે. રાજ્ય સરકારે નાગરિકો પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-ર૦રર નો સોમવાર તા.૧ લી ઓગસ્ટ-ર૦રર થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે
આ અધિનિયમ પ્રથમ તબક્કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ 8 મહાનગરોમાં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અધિનિયમ અનુસાર એક જ સમયે 1 હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમયાન ૧ હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ સી.સી. ટીવી કેમેરા લગાડવાના રહેશે. એટલું જ નહી, ૩૦ દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માંગી શકશે.
આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતીની રચના જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. તદઅનુસાર, મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતી રચવામાં આવશે તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતીના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જોગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિયેશનના ૩ કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે. પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતીના સભ્ય સચિવ તરીકે નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે.
આવી સમિતી દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવ્યા હોય તેવા જાહેર સલામતીના પગલાં ૬ મહિનાની અંદર ગોઠવવાનું સંબંધિત સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે. આ અધિનિયમમાં એવી જોગવાઇ પણ કરવામાં આવી છે કે, જાહેર સલામતિ સમિતી કે જાહેર સલામતિ પેટા સમિતી દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા અધિકારી બે દિવસની નોટીસ/સૂચના આપ્યા પછી દિવસના વ્યાજબી કલાકોમાં આવા એકમો, સંસ્થાઓમાં સી.સી.ટીવી કેમેરાની સિસ્ટમનું નિરીક્ષણ કરીને કોઇ પણ ડિફોલ્ટ અથવા ઉલ્લંઘનના કિસ્સામાં જાહેર સુરક્ષા સમિતીને પોતાનો અહેવાલ આપશે.
કોઇ પણ વ્યક્તિ અથવા સંસ્થા જાહેર સલામતી સમિતી દ્વારા કરવામાં આવેલા હુકમ સામે ૩૦ દિવસની મર્યાદામાં જિલ્લા મેજીસ્ટ્રેટને અપીલ કરી શકશે. તેવી જોગવાઇ પણ આ અધિનિયમમાં રાખવામાં આવેલી છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અપીલ દાખલ કર્યાની તારીખથી ૬૦ દિવસમાં નિર્ણય આપવાનો રહેશે તેમજ દંડની રકમ મહેસુલી રાહે વસુલ કરવાની રહેશે. આ અધિનિયમનો અમલ થતાં રાજ્યના નગરો મહાનગરોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાના ઉપાયો વધુ સંગીન બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.