સમાજ સુધારક દયાનંદ સરસ્વતીનો આજે જન્મ દિવસ - At This Time

સમાજ સુધારક દયાનંદ સરસ્વતીનો આજે જન્મ દિવસ


સમાજ સુધારક દયાનંદ સરસ્વતીનો આજે જન્મ દિવસ

આર્યસમાજના સ્થાપક. વેદોના ઊંડા અભ્યાસી. અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત. દયાનંદનો જન્મ સારી સ્થિતિના, શિવમાર્ગી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા કરસનજી લાલજી ત્રિવેદી જમીનદાર અને ધીરધાર કરનાર હતા. દયાનંદનું સાંસારિક નામ મૂળશંકર હતું. તેર વર્ષ સુધીમાં તેમણે સંસ્કૃત વ્યાકરણ તથા શબ્દરૂપાવલીનો અભ્યાસ કર્યો અને શુક્લ યજુર્વેદનો કેટલોક ભાગ કંઠસ્થ કરી લીધો.

‘દયાનંદ સરસ્વતી’ નામ કેમ પડયુ

ઈ. સ. 1846માં તેમણે ગૃહત્યાગ કરી, સાયલા ગામે લાલા ભગતના સ્થાનકમાં આજીવન બ્રહ્મચર્યવ્રત પાળવાનો સંકલ્પ કરી, શુદ્ધચૈતન્ય નામ ધારણ કર્યું. નર્મદા નદીના કિનારે ભ્રમણ કરતાં, ચાંદોદ પાસે તેમણે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ, તેમની પાસે સંન્યસ્ત ગ્રહણ કરી, ‘દયાનંદ સરસ્વતી’ નામ રાખ્યું.

1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના

1865થી તેમના સેવામય જીવનની શરૂઆત થઈ. તેમણે હિંદુ ધર્મ લોકોને સમજાવ્યો. તેઓ મૂર્તિપૂજાનો વિરોધ કરતા અને વેદોમાં તેને સમર્થન આપતા આધારો નથી એમ જણાવતા. આ અંગે તેમણે વિવિધ સ્થળોએ પ્રસિદ્ધ પંડિતો સાથે વિવાદો કરીને વિજય મેળવ્યો. પોતાના વિચારોનો પ્રચાર અને અમલ થાય તે માટે તેમણે ઈ. સ. 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી.
મુંબઈ ઇલાકામાં તેમણે આર્યસમાજની સો જેટલી શાખાઓ તથા કેટલેક સ્થળે સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપી.

પછીના ક્રિયાકાંડ, બહુદેવવાદ અને બાળલગ્નનો વિરોધ કર્યો. વ્યક્તિની ફરજ તરીકે તેમણે સમાજસેવાને મહત્વ આપ્યું. સ્ત્રીઓ અને શૂદ્રો પણ ધર્મશાસ્ત્રો વાંચી શકે એમ જણાવ્યું. ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાની લોકોને પ્રતીતિ કરાવી. તેમણે સ્ત્રીઓને સમાન દરજ્જો આપવાની તથા રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરી.

સત્યાર્થપ્રકાશ’ નામનો ગ્રંથ લખ્યો.

દયાનંદે ‘સત્યાર્થપ્રકાશ’ નામનો ગ્રંથ લખ્યો. તેમાં હિંદુઓને લગતી ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતો સમજાવવામાં આવી છે. આ ગ્રંથના ગુજરાતી સહિત ભારતની ઘણીખરી ભાષાઓ તથા અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે.

અસ્પૃશ્યોના ઉદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરી. તેઓ કુરિવાજોના વિરોધી હતા. તેમણે ‘પરોપકારિણી સભા’ની સ્થાપના કરીને પોતાની બધી સંપત્તિ વેદોના પ્રચાર, વેદોના શિક્ષણ તથા નિર્ધનોને મદદ માટે તેને સોંપી દીધી. ઈ. સ. 1883માં, દૂધમાં વિષ આપી દ્વેષગ્રસ્ત વિરોધીઓએ તેમની હત્યા કરી

લેખન
ડૉ સચિન જે પીઠડીયા
G.E.S Class 2 officer
સરકારી વિનયન કોલેજ ભેંસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.