ગલોડિયાના ધોરણ ૬માંભણતા યુવરાજ પટેલને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ વિધાર્થી તરીકે રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિતકરાયા - At This Time

ગલોડિયાના ધોરણ ૬માંભણતા યુવરાજ પટેલને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ વિધાર્થી તરીકે રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિતકરાયા


કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાં....

ગલોડિયાના ધોરણ ૬માં ભણતા યુવરાજ પટેલને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ વિધાર્થી તરીકે રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત કરાયા

સમગ્ર રાજ્યમાંથી ૬ બાળકોની પસંદગી થઈ હતી જેમા યુવરાજનો સમાવેશ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા પ્રાથમિક શાળાના ધોરણ છમાં ભણતા યુવરાજ પટેલનું રાજ્યકક્ષાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
૫મી સપ્ટેમ્બર શિક્ષણ દિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવાની સાથે શ્રેષ્ઠ વિધાર્થીઓનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્માના ગલોડિયા પ્રા.શાળાના ધોરણ છમાં અભ્યાસ કરતા પટેલ યુવરાજને અગાઉના વર્ષ એટલે કે ધોરણ ૫માં સમગ્ર શિક્ષણ વર્ષ દરમિયાન સરકારી શાળામાં કરાવવામાં આવતી અભ્યાસીક અને સહઅભ્યાસીક તમામ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાંથી કુલ છ બાળકોની પસંદગી કરવામાં આવી હતી.
યુવરાજ પટેલના પિતા શ્રી સુરેશભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. માતા હિનાબેન પટેલ પ્રા.શિક્ષકા છે જ્યારે યુવરાજના દાદાશ્રી એન. ડી. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં પ્રિન્સિપાલ હતા. આ સન્માન યુવરાજ પટેલનું નહીં પરંતુ સમગ્ર પરિવારનું સમગ્ર શિક્ષણ વિભાગનું છે. યુવરાજ પટેલે ગલોડીયા ગામનું, ખેડબ્રહ્મા તાલુકાનું, અને સાબરકાંઠા જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ ઉજાગર કર્યું છે.
ગલોડિયાના યુવરાજને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ શિક્ષણના અગ્ર સચિવ શ્રી હદર અને શ્રી રાવ તેમજ શિક્ષણના અન્ય પ્રતિષ્ઠિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
યુવરાજની આ સિધ્ધિ બદલ સમગ્ર સાબરકાંઠા વહિવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

અહેવાલ આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.