[ ડભોઈ રેફરલ હોસ્પિટલની તકલાદી છતમાંથી ટપકતાં પાણી ] ફિઝિયોથેરાપીસ્ટ વિભાગમાં આવતાં દર્દીઓને ફરીથી હાડકાં તૂટવાનો ભય - At This Time

[ ડભોઈ રેફરલ હોસ્પિટલની તકલાદી છતમાંથી ટપકતાં પાણી ] ફિઝિયોથેરાપીસ્ટ વિભાગમાં આવતાં દર્દીઓને ફરીથી હાડકાં તૂટવાનો ભય


રિપોર્ટ:- નિમેષ‌ સોની,ડભોઈ

ડભોઇ નગરમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં અત્યારે અત્યાધુનિક સાધનો સાથે ફિઝિયોથેરાપીક વિભાગ શરૂ કરવામાં આવે છે. ત્યારથી જ નગરજનોને મોટી રાહત થવા પામી છે આ વિભાગમાં અકસ્માતે પડી જવાને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકો પોતાના હાડકા અને અંગો પુનઃ પહેલાની જેમ કાર્યરત થાય તે માટે વિવિધ પ્રકારની કસરત અને વ્યાયામ કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. આ વિભાગમાં આવનાર દર્દીઓને હોસ્પિટલમાં હાજર ફિઝીયોથેરાપિસ્ટ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારની કસરતો કરવા આવતા હોય છે. જેના કારણે નગરજનોને મોટી રાહત જણાઈ રહી છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિભાગની છતમાંથી સતત પાણી ટપકવાના કારણે આખા વિભાગમાં પાણીની રેલમ છેલમ થાય છે અને સમગ્ર ફ્લોરિંગ પાણી વાળું થઈ જાય છે. જેથી કસરત માટે આવતા દર્દીઓને ફરીથી પડી જવાનો અને પોતાના હાડકા તૂટવાનો ભય જણાઈ રહ્યો છે. ન કરે નારાયણ અને જો કોઈ દર્દી અકસ્માતે લપસી જાય અને પડી જાય તો તેના હાડકા ફરીથી ભાગે અને પુન: પથારીવસ થવું પડે તો જવાબદાર કોણે ગણવા ? તેવી ચર્ચાઓ નગરજનોમાં ચાલી રહી છે.
દર્દીઓ અને દવાખાનાના જવાબદાર અધિકારીઓ પાસેથી જાણવા મળેલી હકીકત મુજબ આ વિભાગની છતનું ૨૦૨૧ના વર્ષમાં જ રીનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરે યોગ્ય માર્ગદર્શનના અભાવને કારણે વેઠ ઉતરતું કામ કર્યું હોય તેમ જણાઈ રહયું છે. તેમજ તકલાદી કામ કરી હોય તેવું પણ લાગી રહયું છે. દર્દીઓના મુખે તો ચર્ચાઈ રહ્યું છે કે, જ્યારે રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હશે ત્યારે કોન્ટ્રાક્ટરે તકલાદી મટીરીયલ વાપરી મીલીભગત કરી વેઠ ઉતારતું સમારકામ કર્યું હશે તો જ ટૂંકા ગાળામાં ફરીથી છતમાંથી પાણી ટપકવા લાગ્યા છે અને વગર ચોમાસે આ વિભાગમાં પાણીની રેલમ છેલમ જોવા મળી રહી છે.
સરકારશ્રીની વિવિધ યોજનાઓમાંથી મળેલી ગ્રાન્ટમાંથી આ વિભાગમાં કસરત માટેના અત્યાઘુનિક સાધનો લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવ્યા છે તેને, તેમજ આ વિભાગમાં રહેલા વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવના છે. જેથી આ હોસ્પિટલના પ્રશાસકો આ બાબતે પૂરતું ધ્યાન આપે અને સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી નગરજનોની પ્રચંડ માંગ છે.
આ બાબતે આ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર આરતી સિંઘને આ બાબતે ધ્યાન દોરી પૂછપરછ કરતા તેઓ જણાવ્યું હતું કે, આ વિભાગમાં પાણી પડી રહ્યું છે તે અમારી ધ્યાનમાં છે અને આવનાર નવી સરકારી ગ્રાન્ટમાંથી છતના ઉપરના ભાગેથી રીનોવેશન થાય તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે અને અમારા ઉપરી જવાબદાર અધિકારીઓનું પણ આ બાબતે ધ્યાન દોરતી રજૂઆતો કરી છે. ટૂંકા ગાળામાં જ નાગરિકોને પડતી આ સમસ્યાઓનો ઉકેલ આવે તેવા પ્રયત્નો અમો કરીશું તેમ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, હોસ્પિટલના પ્રશાસકો નાગરિકોને પડતી આ સમસ્યાનું સમાધાન ક્યારે લાવે છે ? અને નગરજનો રાહતનો શ્વાસ કયારે લઇ શકે છે એ તો આવનાર સમય જ બતાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.