મેયર-ચેરમેન સહિતના શાસકોના વાહનો જમા : કોર્પોરેશનમાં આચારસંહિતા લાગુ - At This Time

મેયર-ચેરમેન સહિતના શાસકોના વાહનો જમા : કોર્પોરેશનમાં આચારસંહિતા લાગુ


લોકસભા ચૂંટણી આચારસંહિતા આજે બપોર બાદ લાગુ થઇ જતા મહાપાલિકામાં પદાધિકારીઓની ચેમ્બર સુમસામ બની છે. ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષના લોકપ્રતિનિધિઓ તંત્ર તરફથી મળતી સુવિધાનો ઉપયોગ કરી શકતા ન હોય, તમામ પદાધિકારીના વાહનો જમા લેવાયા છે. તો તેમને મળતી સુવિધાઓ પણ આજે સાંજથી બંધ થઇ રહી છે.
પૂરા દેશમાં લોકસભાની ચૂંટણીનું એલાન થયું છે. આ સાથે જ પૂરા ગુજરાત સાથે રાજકોટ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતા લાગુ થઇ છે. કર્મચારીઓ અને અધિકારીઓને ચૂંટણી ફરજના ઓર્ડર તો ઘણા દિવસોથી થવા લાગ્યા છે. તમામને ફરજો પણ સોંપાઇ ગઇ છે. હવે ચાલુ સપ્તાહમાં અધિકારીઓ અને પદાધિકારીઓ આચારસંહિતા પ્રતિક્ષામાં હતા. જે આજથી લાગુ થઇ છે. મનપામાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક નેતા અને દંડક, ફાયર સમિતિ ચેરમેનને મનપાનું વાહન મળે છે. તમામ પદાધિકારીઓને ચેમ્બર, ફોન સહિતની સુવિધા પણ છે. આ તમામ સુવિધા આજે બપોર બાદ જમા લઇ લેવામાં આવી છે.
ચાલુ સપ્તાહમાં મનપાના પદાધિકારીઓએ વોર્ડવાઇઝ ખાતમુહૂર્ત અને લોકાર્પણની હારમાળા કરી હતી. ગત સ્ટેન્ડીંગમાં જ મંજૂર થયેલા અનેક કામો પણ શરૂ કરી દેવાયા છે. સાંઢીયા પુલ બ્રીજ સહિતના ભૂમિપૂજન પણ તત્કાલ કરી દેવાયા હતા. બજેટમાં સામેલ ઘણી યોજનાઓના કામ પણ શરૂ કરાયા છે. વિદ્યાર્થી વાંચનાલયથી માંડી બ્રીજ સુધીના કામો શરૂ કરીને આચારસંહિતામાં કોઇ કામને બ્રેક ન લાગે તે રીતે ગીયરમાં મૂકી દીધા છે.
દરમ્યાન આજથી તમામ પદાધિકરીઓની ચેમ્બર સહિતની સરકારી સુવિધા જમા થઇ છે. આ પદાધિકારીઓના વાહનોનો ઉપયોગ જરૂર સમયે ચૂંટણી પંચ કરે છે. આથી આવા મોટા ભાગના વાહન થોડા દિવસોમાં ચૂંટણી પંચ મંગાવી લે તેવી શકયતા નકારાતી નથી. મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત પેટા સમિતિના 15 ચેરમેનોની ચેમ્બરને પણ લોક કરીને સેક્રેટરી હરેશ રૂપારેલીયા ચાવી લોકરમાં મૂકી દેવાના છે. એકંદરે સોમવારથી ચૂંટાયેલી પાંખવાળુ શાસક પક્ષનું બિલ્ડીંગ સુમસામ બનશે.
મનપામાં ભાજપ કાર્યાલય પણ કાયમ ધમધમતું રહે છે. આ કાર્યાલયને પણ તાળા મારી દેવામાં આવશે. કોંગ્રેસ પાસેથી તો ઘણા સમયથી શાસકોએ કાર્યાલય આંચકી લીધુ છે. હવે મોટા ભાગના કોર્પોરેટરો રોજેરોજ સવારથી સાંજ સુધી મત વિસ્તારમાં ફરતા થઇ જવાના છે. સત્તાવાર કોઇ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઇ કામ માટે અધિકારીઓને નવી સીધી સૂચના આપી શકતા નથી.
આમ છતાં લોકોની રોજિંદી ફરિયાદ માટે અધિકારીઓને જાણ જરૂર કરી શકે છે. છતાં હવે લોકસભાની ચૂંટણી પૂરી થાય, પૂરા દેશમાં આચારસંહિતા ઉઠે ત્યાં સુધી મનપા કચેરીમાં પણ કોડ ઓફ કન્ડકટનો અમલ રહેશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.