લગ્નના 13 દિવસ પૂર્વે યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત - At This Time

લગ્નના 13 દિવસ પૂર્વે યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત


રાજકોટમાં લગ્નના 13 દિવસ પૂર્વે 23 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. રાજકોટના મહિકા રોડ, માધવ વાટિકા સોસાયટીનો આ બનાવ છે. મૃતકના આગામી 18 એપ્રિલે લગ્ન હતા. આશાસ્પદ યુવાને અંતિમ પગલું ભરતા પરિવારમાં ખુશીના માહોલ વચ્ચે કલ્પાંત છવાયો છે.
બનાવની વિગત મુજબ, નારણ લાલદાસ દાણીધારીયા(ઉ.વ.23, રહે.મહિકા રોડ, માધવ વાટિકા સોસાયટી, રાજકોટ)એ ગઈકાલે રાત્રે 11 વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.
તેમના પરિવારજનોએ જણાવ્યું કે, નારણ તેના મામા બલરામભાઈ સાથે કારના સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો હતો. આગામી તા.18ના રોજ તેના લગ્ન નિર્ધારિત થયા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો. ગત સાંજે ઘરે નારણ પોતાની બે બહેનો સાથે જમવા બેઠો હતો. જમીને પોતાના રૂમમાં પોતાની ભાવિ અર્ધાંગિની સાથે ફોનમાં વાતચીત કરવા ગયો હતો.
ઘણો સમય થવા છતાં ભાઈ પોતાના રૂમમાંથી બહાર ન આવતા અને રૂમમાં અવાજ આવતા પરિવાર જોવા ગયો, પણ રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. બારીમાંથી જોયું તો ગળાફાંસો ખાધેલી હાલતમાં નારણ જોવા મળ્યો.
જેથી નાની બહેનને બારીમાંથી રૂમમાં મોકલી દરવાજો ખોલી તુરંત નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અહીં રાત્રે 1 વાગ્યા આસપાસ તેમનું મોત થયું હતું. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.