જામનગરના આંગણે સૌ પ્રથમ વખત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઇ
જામનગર,તા.16 ઓગષ્ટ 2022,મંગળવાર'છોટીકાશી' તરીકે સુપ્રસિદ્ધ એવા જામનગર શહેરમાં ૧ર૮ વર્ષ જુના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રી કાશી વિશ્વનાથ દાદાની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પાલખી યાત્રા શ્રાવણ વદ-૪ ને સોમવારે ગઈકાલે તા. ૧પ ઓગસ્ટ ના દીને યોજાઇ હતી.જેનું પ્રસ્થાન ખેત્રી ફળી ની વાડી, અંબાજી ના ચોકમાંથી સાંજે ૪ કલાકે થયું હતું, અને શહેરના રાજમાર્ગો પર ફરીને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં રાત્રે ૯-૩૦ કલાકે પૂર્ણ થઇ હતી.આ પાલખી યાત્રામાં શ્રી કાશી વિશ્વનાથ યુવકમંડળ, શ્રી કાશી વિશ્વનાથ મહિલા મંડળ, શ્રી ભગવારક્ષક યુવા સંગઠન-જામનગર તેમજ શ્રી સમસ્ત ખવાસ રજપૂત સમાજ ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ભગવાન ધ્વજ ની સાથે તરવરીયા યુવાનોએ અનેક કરતબો કર્યા હતા. ગઈકાલે શ્રાવણ માસના સોમવારની સાથે સાથે ૧૫ મી ઓગસ્ટનો સ્વાતંત્ર્ય પર્વ પણ હોવાથી તિરંગા ધ્વજ સાથે પણ અનેક યુવાનો જોડાયા હતા, અને ભગવાન શિવજીની પાલખીને વાજતે ગાજતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે લઈ જવામાં આવી હતી.પાલખીયાત્રામાં અનેક યુવાનો તેમજ બહેનો માથે કેસરી શાફા ધારણ કરીને જોડાયા હોવાથી કેસરિયું વાતાવરણ પણ બન્યું હતું.સમગ્ર પાલખી યાત્રાના ઈન્ચાર્જ તરીકે અમિતભાઈ ચૌહાણ, નાથાભાઈ ભટ્ટી તેમજ બ્રિજેશ પરમાર સહિતના અનેક યુવાનોએ જહેમત ઊઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.