હોળીના પર્વને લઈ બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ - At This Time

હોળીના પર્વને લઈ બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ


હોળીના પર્વને લઈ બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ

સાવધાની સાથે પર્વની ઉજવણી કરવી અતિ જરૂરી: અસ્થમા, શ્વાસના રોગોથી પીડાતા દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બાળકોએ ખાસ તકેદારી રાખવી

કેમિકલયુક્ત રંગને સ્થાને કુદરતી રંગોનો ઉપયોગ કરવો હિતાવહ : કેસુડાથી ધૂળેટી રમવાનાં છે અનેક ફાયદા

હોળીના પર્વની ઉજવણી કરવા માટે બોટાદવાસીઓ ઉત્સાહિત છે. હોળી-ધૂળેટીના તહેવાર પર લોકો મન મૂકીને એકબીજાને રંગોથી રંગે છે. પરંતુ અલગ-અલગ પ્રકારના કેમિકલથી તૈયાર થયેલા રંગોની અનેક આડઅસર છે. કેમિકલવાળા રંગોથી રમ્યા પછી ત્વચામાં બળતરા, ખંજવાળ અને સોજો જેવી સમસ્યાઓ થાય છે, ત્યારે સુરક્ષિત રીતે હોળીની ઉજવણી માટે કેમિકલ ધરાવતા રંગોને સ્થાને કુદરતી રંગોનો ઉપયોગ કરવો હિતાવહ છે.
હર્બલ રંગો કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, જેમાં કોઈ રાસાયણિક મિશ્રણ વાપરવામાં નથી આવતા. આ રંગોથી હોળી રમવાથી ત્વચા અને આંખોને કોઈ નુકસાન થતું નથી. આ કુદરતી રંગો બનાવવા માટે ફૂલ, હળદર, ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરે પણ આ પ્રકારના રંગો સરળતાથી તૈયાર કરી શકાય છે.

ધૂળેટી પર્વમાં કેસુડાનું મહત્વ
કેસુડો ફાગણ ઋતુનું જ ફૂલ કહેવાય છે જેને સંસ્કૃતમાં પલાશ તરીકે ઓળખવામાં આવે છે. બાળકોને થતા ઓરી, અછબડા કે બળિયામાં પણ કેસુડાના ફૂલને પાણીમાં ઉકાળી ઠંડુ કર્યા બાદ બાળકને સ્નાન કરાવવાથી લાભ થાય છે. ધૂળેટીના પર્વે કેસુડાના ઉપયોગ પાછળ વૈજ્ઞાનિક કારણ તો છે જ ઉપરાંત કેસુડાથી ધૂળેટી રમવામાં આવે તો સ્નેહીજનોને નુકસાન થવાને બદલે ફાયદો થાય છે. જેથી ધૂળેટી કેસુડાથી જ રમવા માટે ભાર આપવામાં આવે છે. કેસુડો શરીર અને ચામડી માટે અનેક રીતે ગુણકારી છે.

કેમિકલયુક્ત કલર આંખમાં જાય તો નુકસાન થઈ શકે છે. આ સિવાય અસ્થમા, શ્વાસના રોગોથી પીડાતા દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બાળકોએ રંગોથી રમતા પૂર્વે ખાસ તકેદારી રાખવી જોઈએ. સાથોસાથ આપણે પર્વ ઉજવવાની મજા લઈએ તે અન્યો માટે સજા સમાન ન બને તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. દરેક તહેવારને જો ખરા અર્થમાં યાદગાર બનાવવો હોય તો સાવધાની સાથે ઉજવણી કરવી અતિ જરૂરી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.