900 વર્ષ પહેલાં ચારણ દીકરીનું લૂંટાતું વેલડું બચાવતા વીરગતિએ પામેલા શૂરવીર વીર રાજાજી દાદા તેમજ વીર તેજાજી દાદા સુરપુરા ધામ ભોળાદ (ભાલ) ખાતે પૂજાઈ રહ્યા છે. - At This Time

900 વર્ષ પહેલાં ચારણ દીકરીનું લૂંટાતું વેલડું બચાવતા વીરગતિએ પામેલા શૂરવીર વીર રાજાજી દાદા તેમજ વીર તેજાજી દાદા સુરપુરા ધામ ભોળાદ (ભાલ) ખાતે પૂજાઈ રહ્યા છે.


શ્રધ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે

સુરપુરા ધામ તરફથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે

900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરાધામ ખાતે વીર તેજાજીદાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે

સુરપુરાદાદાના મંદિર ખાતે નાત-જાતના ભેદભાવ વગર રાજ્ય ખૂણે ખૂણેથી આવી લોકો દર્શનનો લહાવો લઈ રહ્યા છે દર્શનથી દર્શનાર્થીઓના દુ:ખ દૂર થઈ જાય છે

આજે જેના ઇતિહાસ અને વર્તમાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેમના ઇતિહાસ માં ડોકયુ કરતા પહેલા થોડી માહિતી જરૂરી છે.આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત - જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયા ને પળવાર માં ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નાં શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પુજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે

આજે જેની વાત કરવાની છે એ સુરવીર ની ખાંભી ભાલની ધિંગી ધરતીમાં આવેલ પીપળી - વટામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે છે. આશરે ૯૦૦ વર્ષ પહેલાં એટલે ઈ.સ. ૧૧૦૦ ની આસપાસ નો ઇતિહાસ છે. બારોટજી ના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. રાજસ્થાન થી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદ થી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ભેટડિયા ભાણ નામનાં સ્થળે સ્થાયી થયેલા, આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે તેમજ ત્યાંથી થોડે દૂર સિધ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવાતો હતો અને મીનળદેવી એ જે જગ્યા પર એ નાબૂદ કરાયો હતો. એ સ્થળ આવેલું છે જે દાણીમાતા ના આરા તરીકે ઓળખાય છે. ત્યાથી અમુક ભાઈઓએ બીજા સ્થળો તરફ પ્રયાણ કર્યું હતું.

જ્યારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા નાં દીકરા અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા ને સત્તર ને વીંધ્યા (૧૭ નરાધામોને માર્યા ) પણ પાછળથી ઘા થયો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે કે સાક્ષાત માં ભવાની એનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે.

ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નાં દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ - લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદ નાં ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત ૨૦૭૨ ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જયંતી) નાં રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ - નાનીબોરું રોડ પર સ્થાપના કરવામાં આવી.

આજે કળિયુગ અને વિજ્ઞાનનાં યુગ માં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજુદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યુ છે અને આજે પણ ગુજરાત નાં ખૂણે ખૂણેથી અઢારેય વરણ નાં લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું કાઇપણ લીધા વગર અને કોઈપણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ પણે દાનભા બાપુ ને નિમિત્ત બનાવીને લોક કલ્યાણ નું કાર્ય કરી રહ્યા છે. એવું લાગે જાણે જીવતા સેવા કરવાના ઓરતા અધૂરા રહી ગયા હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ ને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફ માં મદદરૂપ થઈ રહ્યા છે. આજે જે જગ્યા એ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે અન્નક્ષેત્ર ની સેવા કરવામાં આવે છે અને કોઈપણ કાગળ પેન કે ચોપડા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજ ના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડેપગે હાજર થઈ જાય છે. ગામનાં પાદરે ઉભેલા એ પાળિયાનાં બલિદાન ની વાતો કરવા બેસીએને તો મેગેઝિન નાં પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામ માં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણાં એમના બલિદાન બહુ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો.

મંદિરમાં જે સેવા કરતાં અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉમર માત્ર ૩૭ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે. અને દાદાના ચરણોમાં જે શ્રધ્ધાળુઓ આવે છે. તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે. જે જે શ્રધ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે.

બોક્ષ :-
દાદાના સાનિધ્યમાં આવતા લોકોના દુખ દૂર કરવા સાથે યુવાનોને સાચા માર્ગે દોરવા, આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતી ફેલાય તે માટે કર્યો કરવા, વ્યસન મુક્ત કરવા, માનસિક રીતે ભાગી પડ્યા હોય અને જેનો કોઈ સહારો ના રહ્યો હોય તેઓની મદદ કરવી જેવા અનેક કર્યો દાદાના સાનિધ્યમાં થાય છે.

બોક્ષ:- દાદાના સાનિધ્યમાં બેઠક યોજાય છે
દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠકા યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને પોતાના દુખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે. દેશ-વિદેશમાંથી લોકો અંતઓ મને છે અને તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે જેના અનેક દાખલા રૂપ ઉદાહરણો છે. જેમના એક વિષે વાત કરીએ તો અહિયાં આવતા શ્રધ્ધાળુઓને દુવા અને સાથે દવા લેવા માટે પણ સૂચન કરવામાં આવે છે. અને મહત્વની વાત એ છે કે લોકોને અંધશ્રધ્ધા દૂર રહેવા અને શ્રધ્ધા અને વિશ્વાસ રાખવા માટે કહેવાય છે. દુનિયાના ખૂણે ખૂણે જઈને છેલ્લે અહિયાં આવે છે એવા તો અઢળક દાખલાઓ દાદાએ પૂરા પાડ્યા છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં નિઃસંકોચ પણે સૌ પોતાના દુઃખ ઠાલવે છે. અને તે જણાવે છે. જે જે નિરાધાર લોકો છે તેમને દાદા શક્તિ આપે છે અને તેઓને ન્યાય પણ અપાવે છે. પણ તમારી શ્રધ્ધા અને વિશ્વાસ કયાં હોવો જોઈએ.

બોક્ષ :-
ભોળાદ ગામમાં બિરાજમાન અને લોકોના દુખ દૂર કરતાં વીર રાજાજી વીર તેજાજી દાદાના સાનિધ્યમાં દુખિયાના દૂર કરવા અને લોકોની સેવા કરવી એ એક સિધ્ધાંત છે. જે જે શ્રધ્ધાળુઓ અહિયાં આવે છે તેઓ માટે જમવાની રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે. સાનિધ્યમાં દાદાના ચરણો માં જે કઈ દાન આવે છે તે લોકોની સુવિધા માટે જ વાપરવામાં આવે છે. સાથે નિરાધાર લોકોને મદદ પણ કરવામાં આવે છે.
હાલની દુનિયામાં જે ધર્મના નામે ચાલી રહેલ ધંધો છે તે બંધ કરાવી અને જે પૌરાણિક સમયમાં ધર્મ શું હતો. અને તેને લોકો કેમ પાળતા તે હાલની પેઢીને દેખાડવા માટે આવ્યા છે. લોકો જે ધર્મ ના નામે છેતરાય છે. અને તેઓ હવે છેતરાય નહીં અને અંધશ્રધ્ધામાંથી બહાર આવે અને સાચા માર્ગે શ્રધ્ધાળુંઑ ચાલે તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. હાલ જે તાંત્રિકો, ભૂવાઓ લોકોને ડરાવે છે. તેની સામે નીડર બની લોકોની આસ્થાને ઠેસના પહોંચે તેમ અલગ અલગ દ્રષ્ટાંતો આપી દાનભા સૂચન કરે છે. જેથી કરીને આજની યુવા પેઢી ખોટા ગેરમાર્ગે દોરાય નહીં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.