સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર -સાળંગપુરધામમાં ભવ્ય શાકોત્સવનું આયોજન - At This Time

સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર -સાળંગપુરધામમાં ભવ્ય શાકોત્સવનું આયોજન


બોટાદ જીલ્લા બરવાળા તાલુકાનું નાનકડું ગામ સાળંગપુર કે જેમાં આજથી ૧૭૪ વર્ષ પહેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનાદી મૂળ અક્ષર મૂર્તિ સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએ સને.૧૯૦૫ ના આસોવાદ-૫ ના દિવસે શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને જે દેવને આધિ-વ્યાધિ-ભૂત-પ્રેત,વળગાડવાળા દુઃખીયાઓના દુઃખ દૂર કરવાનું કામ સોપ્યું અને દાદાએ તુરત જ સ્વીકારી લીધું. જેથી શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ સાળંગપુરના હનુમાનજીનું નામ "શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી” રાખ્યું જ્યાં આજની તારીખે પણ અનેક દુઃખીયારા દર્દીઓ રડતા-રડતા આવે છે અને સાળંગપુર આવ્યા પછી હસતા-હસતા થઈને જાય છે.આવા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.28-01-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ભવ્ય શાકોત્સવનું આયોજન સાંજે:4 થી 7 કલાક દરમિયાન કરવામાં આવેલ છે. શાકોત્સવ અંતર્ગત વિશેષ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પાવન ઉપસ્થિતિ રહેશે.ધામોધામથી સર્વે સંતો પધારીને આશીર્વાદ આપશે. મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા ભવ્ય શાકોત્સવમાં દિવ્ય દર્શન કરવા તેમજ તમામ હરિભક્તોને પરિવાર સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.