42 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો, જિંદગીથી કંટાળી પગલું ભર્યાની આશંકા - At This Time

42 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો, જિંદગીથી કંટાળી પગલું ભર્યાની આશંકા


રાજકોટના સંત કબીર રોડ પર બ્રાહ્માણીયા પરા-10 માં રહેતાં શૈલેષભાઈ નારણભાઇ બાવરીયા (ઉ.વ.42)એ હલેન્ડા ગામ પાસે આવેલ ભૂતનાથ મંદિરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બાદમાં તેમના પુત્ર નિખિલે મોડી રાત સુધી પિતા ઘરે ન આવતાં તેમની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પતો ન લાગતાં તેમના મામાને જાણ કરી હલેન્ડા પાસે આવેલ ભૂતનાથ મંદિર નજીક તપાસ કરવાનું કહ્યું હતું. જે બાદ તેમના મામાએ ત્યાં તપાસ કરતાં તેમની બાઈક મળી આવતા તેમના પુત્રને જાણ કરતાં પરિવાર દોડી આવ્યો હતો અને મંદિર આસપાસ તપાસ કરતાં મંદિર આગળથી તેઓ બેભાન હાલતમાં મળ્યા હતાં. જેઓને બેભાન હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડાયો હતો. મૃતક થોરાળામાં સ્ક્રેપનો ડેલો ધરાવી વેપાર કરતાં હતા. તેઓને સંતાનમાં બે પુત્ર છે જેમાંથી એક પુત્રના 20 દિવસ પહેલાં જ લગ્ન થયેલ હતાં. તેઓ ઘણાં સમયથી હું જિંદગીથી કંટાળી ગયો છું તેવું રટણ કર્યે રાખતાં હતાં. જેથી કંટાળીને અંતિમ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.