રાજકોટ શહેર ‘શિક્ષક દિન-૨૦૨૨’ નિમિતે ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ’ યોજાયો. - At This Time

રાજકોટ શહેર ‘શિક્ષક દિન-૨૦૨૨’ નિમિતે ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ’ યોજાયો.


રાજકોટ શહેર તા.૫૯૨૦૨૨ ના રોજ રાજકોટ જીલ્લા વહીવટી તંત્ર, તથા જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘શિક્ષક દિન-૨૦૨૨’ ‘જીલ્લા/તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહ’ નો શુભારંભ વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો. ધોળકીયા સ્કુલ ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રીશ્રી રૈયાણીએ કહ્યું હતું કે તમામ શિક્ષકોમાં રહેલા ગુરૂ એ પાયાના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ટીચર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રની વિચારધારામાં શિક્ષકો મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણમાં ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાની તાકાત છે અને એ તાકાત આવનારા સમયમાં સમગ્ર દેશ અને દુનિયા જોશે. દેશમાં શિક્ષણને નવી ઊંચાઈ પર લઈ જવા માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નું મોટું યોગદાન છે. ગુજરાતમાં દરેક બાળકને શિક્ષિત કરવાનું બિડું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ઝડપ્યું છે. જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ એ કહ્યું હતું કે શિક્ષકો એ રાષ્ટ્રની ઓળખને પ્રસ્થાપિત કરે છે. આજે આપણે સૌ કોઈ લોકો જીવનમાં જે મુકામ પર પહોંચ્યા છે તેમાં ગુરુઓનો વિશેષ ફાળો રહ્યો છે. માતા-પિતા અને ગુરુદેવો ભવઃમાં ગુરુને માતા-પિતા કરતા પણ વિશેષ માન આપવામાં આવ્યું છે. શિક્ષકો દેશ નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગાંધીજી એ વિશ્વ ગુરુ છે કે જેણે સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો અને શાંતિથી જીવતા શીખવ્યું. શિક્ષકો વિના શિક્ષણ નથી અને શિક્ષણ વિના વિકાસ નથી. આ તકે જીલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર જીવાપર પ્રાથમિક શાળા જસદણના શિક્ષક રાતડીયા અનુભાઈ, જિલરિયા તાલુકા શાળા પડધરી તાલુકાના શિક્ષક ઉનડપોત્રા રજાક તથા કડુકા પ્રાથમિક શાળાનં-૧, જસદણના શિક્ષક જગદીશભાઈ ઝાપડિયાને મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી, સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર સાથે સન્માન કરાયું હતું તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. રાજ્યકક્ષાએ એવોર્ડ મેળવનાર શ્રી.સરસ્વતી શાળાનં.૯૭, રાજકોટના શિક્ષિકા ડાભી શિલ્પાબેનને રાજ્યપાલશ્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર સેન્ટમેરી સ્કૂલના શિક્ષક ઉમેશભાઈ વાળાનું સન્માન ન્યુ દિલ્હી ખાતે કરાયું હતું. ધોળકિયા સ્કૂલના બાળકોએ વિવિધ મહાનુભાવોની વેશભૂષા ધારણ કરીને લોકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું તેમજ શિક્ષણ અને શિક્ષકોનું મહત્વ સમજાવતી ડોક્યુમેન્ટરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષકોના સન્માન સમારોહમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રામભાઈ મોકરીયા, મેયરશ્રી પ્રદીપભાઈ ડવ, જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ.કૈલા, જીલ્લા શિક્ષણ તાલીમ કેન્દ્રનાશ્રી મીનાક્ષીબેન, શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર તથા ધોળકીયા શૈક્ષણીક સંસ્થાના સંચાલકશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.