સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે નાયબ મુખ્ય દંડકે ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી ભવ્ય ભાતીગળ લોકમેળાનુ ઉદ્ઘાટન કર્યુ,* - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે નાયબ મુખ્ય દંડકે ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી ભવ્ય ભાતીગળ લોકમેળાનુ ઉદ્ઘાટન કર્યુ,*


સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તરણેતરના વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો આજથી પ્રારંભ કરવામા આવ્યો હતો અને મોટી સંખ્યામાં રંગરસિયાઓ મેળાની મજા માણશે. અને સાથે દેશ વિદેશથી ભોળાનાથના ભાવિ ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડશે તેમજ 19 સપ્ટેમ્બરના રોજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ પણ મેળામાં ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં ચાર દિવસ ચાલનાર આ મેળામાં રાસ ગરબા, હુડો રાસ, છત્રી હરીફાઈ, પશુ હરીફાઈ, ગ્રામીણ ઓલમ્પિકસ આકર્ષણનુ કેન્દ્ર બનશે. ત્યારે આજથી 4 દિવસ યોજનારા આ ભાતીગળ મેળામાં લોકોના ઘોડાપૂર સાથે માવીનો મહેરામણ જામશે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર ખાતે પાંચાળ પ્રદેશમાં કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્‍યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો. અને સાથે સાથે અનેક અગ્રણી આગેવાનોએ મહાદેવજીનું પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. જયારે સાંસ્‍કૃતિક વિરાસતનો સમૃધ્‍ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ દેશ–વિદેશથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેનું આયોજનબધ્ધ કાર્ય પણ કરવામાં આવે છે. અને આ મેળામાં આવતા લોકોને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે અને તેમનામાં જાગૃતિ આવે તે માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા અહિ પ્રદર્શનો પણ ગોઠવવામાં આવે છે.

ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન–અર્ચન બાદ નાયબ મુખ્ય દંડકશ્રી સહિતના મહાનુભાવોએ રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ગુજરાતના વિકાસને ઉજાગર કરતું "યશસ્વી ગુજરાતના બે દાયકાના અવિરત વિકાસની સોનેરી ગાથા" પ્રદર્શન તેમજ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. નાયબ મુખ્ય દંડકશ્રીએ પશુ પ્રદર્શનના સ્થળે ગૌપુજન કરી પશુપ્રદર્શન પણ નિહાળ્યું હતુ.

તરણેતરના આ લોકમેળામાં દંડકશ્રીએ મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્‍પિકસનો શુભારંભ કરાવ્યો હતો. દંડકશ્રીના હસ્‍તે ૩૦૦૦ મીટર દોડમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્‍થાને આવેલ ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણ, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કાનભા, તરણેતર સરપંચશ્રી અશોકસિંહ રાણા, જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, તાલીમી આઈ.એ.એસ.શ્રી હિરેનભાઈ બારોટ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પાર્થ ચૌહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શિલ્પાબેન પટેલ સહિત સંબધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.