રાજકોટમાં છ લુખ્ખાઓએ “અહીથી કેમ નીકળ્યો?” કહી છરી બતાવી ધમકાવી એક્ટિવાને આગ ચાંપી - At This Time

રાજકોટમાં છ લુખ્ખાઓએ “અહીથી કેમ નીકળ્યો?” કહી છરી બતાવી ધમકાવી એક્ટિવાને આગ ચાંપી


શહેરમાં વાતાવરણનો પારો ગબડતો જાય છે તેમ લોકોના મગજનો પારો ચડતો જતો હોવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રૈયાધાર પાસે એક યુવાનને તું અહીંયાથી કેમ નીકળ્યો કહી છ શખ્સોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના એક્ટિવાને આગ ચાંપી દીધી હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામાપીર ચોકડી પાસે લાભદીપ સોસાયટીમાં રહેતા અને રીક્ષા લે – વેચનું કામ કાજ કરતા જયદીપભાઈ હસમુખભાઈ ચાવડા નામના 28 વર્ષના યુવાને યુનિવર્સિટી પોલીસ મથકમાં સુનીલ, રાજ્યો બાવાજી, પક્કો, રમેશ ઉર્ફે દકુડો, બાધો ભરવાડ અને બાબુ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી જયદીપભાઈ ચાવડાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે રૈયાધારમાં રિક્ષાનું પેમેન્ટ લઈને આવતા હતા ત્યારે રાણીમા રૂડીમાં ચોકમાં ઉભેલા સુનીલ, રાજયો બાવાજી, પકકો, રમેશ ઉર્ફે દકુડો, બાઘો ભરવાડ અને બાબુએ યુવાનને ઊભો રાખી “તું અહીંયાથી કેમ નીકળ્યો?” કહી છરી બતાવી બીજીવાર અહીંયાથી નીકળ્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
લુખ્ખા તત્વોને એટલાથી સંતોષ ન થતા આ તમામ શખ્સોએ ધાકધમકી આપતા જયદીપભાઈ ચાવડા ત્યાંથી પોતાનું વાહન મૂકી જાન બચાવી ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ લુખ્ખાઓએ જયદીપ ભાઈના જીજે 36 એચ 0080 નંબરના એક્ટિવામાં પેટ્રોલ છાંટી આગ ચાંપી રૂ.50,000નું નુકસાન કર્યું હતું. જયદીપભાઈ ચાવડાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બી.આર.ભરવાડે છ શખ્સોએ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.