દાદા સાથે ગયેલી પૌત્રીને મંદિરમાં જ કાળ ભેટ્યો, લોખંડનો ડેલો પડતા મોત - At This Time

દાદા સાથે ગયેલી પૌત્રીને મંદિરમાં જ કાળ ભેટ્યો, લોખંડનો ડેલો પડતા મોત


રાજકોટમાં કણકોટ રોડ પર રહેતી માસુમ બાળકી દાદા સાથે જીવરાજ પાર્કમાં આવેલા અંબાજી માતાના મંદિરે રમવા ગઇ હતી. ત્યારે મંદિરમાં રહેલો લોખંડનો મહાકાય ડેલો બાળકી માથે પડતા તેનું કરુણ મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બાળકને પગમાં ઇજા થઇ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કણકોટ રોડ પાસે ક્રિસ્ટલ એવન એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદાર રવિભાઈ ઊંજિયાની પુત્રી આરવી પર જીવરાજ પાર્કમાં આવેલા અંબાજી માતાના મંદિરે લોખંડનો ડેલો પડતા તેણીનું કરુણ મોત નિપજ્યું હતું.પરિવારજનોના જણાવ્યા મુજબ કારખાનેદાર રવિભાઈ ઊંજીયાને સંતાનમાં એકને એક પુત્રી આરવી હતી.
ગઇ કાલે સાંજે રાબેતા મુજબ આરવીના દાદા તેણીને રમવા માટે જીવરાજ પાર્કમાં આવેલા અંબાજી માતાના મંદિરે લઈ ગયા હતા. જ્યાં મંદિરનો મહાકાય લોખંડનો ડેલો માથે પડતા આરવી સહિત બે બાળકો ઘવાયા હતા. જેમાં આરવીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ટૂંકી જ સારવારમાં આરવીનું કરુણ મોત નિપજ્યું હતું. દાદાની નજર સામે જ પૌત્રીને કાળ ભેટતા પરિવારમાં ગમગીની છવાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.