રાજકોટમાં 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ખોખળદળના વનરાજે દુષ્કર્મ આચર્યું - At This Time

રાજકોટમાં 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી ખોખળદળના વનરાજે દુષ્કર્મ આચર્યું


રાજકોટમાં વધું એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. કોઠારીયા વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને ખોખળદળના વનરાજ નામના હવસખોર શખ્સે પ્રેમજાળમાં ફસાવી અઠવાડિયા પહેલાં અપહરણ કરી ભગાડી ગયા બાદ પાંચ-પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે જસદણથી આરોપીને દબોચી સગીરાને મુક્ત કરાવી હતી. આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ, પોક્સો અને અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મૂળ સુરેન્દ્રનગર પંથકના અને હાલ રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં રહેતી મહિલાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વનરાજ મોહન (રહે. બીલીપત્ર પાર્ટીપ્લોેટ સામેની વાડી, ખોખળદળ) નું નામ આપતાં પોલીસે આરોપી વિરૂદ્ધ અપહરણ, પોક્સો અને અવારનવાર દુષ્કર્મ કરવાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યા અનુસાર, તેઓ પરિવાર સાથે અહીં રહે છે અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 14 વર્ષની પુત્રી થોડા સમય પહેલાં એક પ્રસંગમાં ગઈ ત્યારે મૂળ તેમના જ પંથકનો અને હાલ અહીં તેમની બાજુમાં મજૂરીકામ કરતો વનરાજ તેને મળ્યો હતો. જ્યાં તેમની સગીર પુત્રીને આરોપીએ વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત થતાં આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભાગી જવા માટે કહ્યું હતું. જે બાદ ગઈ તા.13-12-2023 ના આરોપી લગ્ન કરવાની લાલચ આપી સગીરાને પોતાના ઘરેથી ભગાડી ગયો હતો.
જે બાદ ફરિયાદી અને તેના પરિવારે પુત્રી ગુમ થતાં તપાસ કરતાં મળી ન આવતાં આજીડેમ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 14 વર્ષની સગીરાનું અપહરણ થયાનું સામે આવતાં હરકતમાં આવેલ આજીડેમ પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડાની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરતાં આરોપીને જસદણથી દબોચી સગીરાને મુક્ત કરાવી હતી. બાદમાં સગીરાએ આરોપી તેને ભગાડી ગયા બાદ અલગ અલગ જગ્યાએ પાંચ વાર તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતાં પોલીસે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરી વધું તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.