વેરાવળ ખાતે યોજાઈ તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા - At This Time

વેરાવળ ખાતે યોજાઈ તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા ———-


રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી.....

વેરાવળ ખાતે યોજાઈ તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા
----------
તાલુકા કચેરીથી પ્રસ્થાન કરી ટાવરચોક થઈ નગરપાલિકા સુધી યોજાઈ કળશ યાત્રા
----------
‘ભારત માતા કી જય’, ‘વીર શહીદો અમર રહો’ના ગગનભેદી નારાઓથી ગૂંજી ઉઠ્યું વાતાવરણ
----------
ગીર સોમનાથ, તા.૧૭: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અર્થે દેશના ખૂણે ખૂણેથી માટી એકત્રિત કરવાના અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકા કક્ષાનો 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વેરાવળ શહેર તાલુકા ભવનથી લઈ ટાવરચોક અને નગરપાલિકા સુધી અમૃત કળશ યાત્રા યોજવામાં આવી હતી.
આ કળશ યાત્રા તાલુકા કચેરીથી પ્રસ્થાન કરી ટાવરચોક થઈ નગરપાલિકા સુધી યોજાઈ હતી. આ દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વીર શહીદો અમર રહો’ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લીબહેન જયદેવભાઈ જાની તેમજ અગ્રણી શ્રી માનસિંહભાઈ પરમાર અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને નગરપાલિકાના સભ્યશ્રીઓએ પણ માટી પધરાવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેને જણાવ્યુ હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્ણ ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. અમૃત કળશ યાત્રાએ માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવાની ક્ષણ છે. આ અભિયાન શહીદોના સંઘર્ષ અને વીરતા યાદ કરાવવાનો અવસર છે.
નોંધનીય છે કે, વેરાવળ તાલુકામાં અમૃત કળશ યાત્રા દરમિયાન ચપટી માટી અને ચોખા એકત્ર કરવામાં આવ્યા હતા. વેરાવળ તાલુકાના પ્રત્યેક ગ્રામ પંચાયતોના સભ્યો દ્વારા લાવવામાં આવેલ અમૃત કળશમાંથી પ્રતિકાત્મક રૂપે માટી - ચોખા લઈ તાલુકા કક્ષાના કળશમાં મુકવામાં આવ્યા હતા. હવે આ અમૃત કળશ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. આ કળશ યાત્રામાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, આંગણવાડીના બહેનો તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત સ્થાનિક લોકો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.