પાટડી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. - At This Time

પાટડી ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આપણો સમાજ શિક્ષણની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યો છે - મહંત શ્રી કનીરામ બાપુ

સન્માન સમારોહમાં 22 જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને 25 નવનિયુક્ત કર્મચારીઓને સન્માનિત કરાયા.

દુધરેજ વડવાળા મંદિરના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પિઠાધિશ્વર અનંત વિભૂષિત ૧૦૦૮ મહંત શ્રી કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને પાટડી વડવાળા મંદિર ખાતે ખારાપાટ રબારી સમાજના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે પાટણ દ્વારકેશ કન્યા છાત્રાલયના સંચાલક મગનભાઈ દેસાઈ, વાળીનાથ મહાદેવ મંદિર તરભ અને લિંબજ માતાજી મંદિર રાયસણ સંસ્થાના ટ્રસ્ટી સહદેવભાઈ દેસાઈ અને બામણવા ગામના રહીશ અને નવનિયુક્ત ડેપ્યુટી કલેક્ટર કલ્પેશભાઈ ગરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી આ સન્માન સમારોહમાં આશીર્વચન પાઠવતા દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ આજની તાતી જરૂરિયાત છે શિક્ષણ વિના કોઈપણ સમાજ પ્રગતિ કરી શકતો નથી હવે આપણો સમાજ શિક્ષણની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યો છે ટેકનોલોજીના આ જમાનામાં ટકવા માટે શિક્ષણએ અનિવાર્ય બાબત છે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટેના સમાજના પ્રયાસો વિશે વાત કરતા પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે આપણા સમાજમાં કન્યાઓના શિક્ષણ પ્રત્યે હજુ જોઈએ તેટલી જાગૃતિ આવી નથી કન્યાઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે ગુજરાતના દરેક જિલ્લાઓમાં આગેવાનો, યુવાનો કર્મચારીઓ અને સમાજસેવકો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ટૂંક સમયમાં રાજકોટ ખાતે દીકરીઓ માટે રહેવા જમવા સહિતની આધુનિક સગવડતા ધરાવતું શૈક્ષણિક સંકુલ નિર્માણ પામી રહ્યું છે જેનો લાભ સમાજની દરેક દીકરીઓને મળવાનો છે બાપુએ સમાજમાં દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત બની બે પેઢીને તારે તે માટે પ્રયાસો કરવા ઉપસ્થિત સૌને જણાવ્યું હતું વધુમાં બાપુએ ષષ્ઠપજ્ઞ સ્વામી મહારાજને યાદ કરતા જણાવ્યું હતું કે પૂજ્ય ષષ્ઠપજ્ઞ સ્વામી મહારાજ આ ખારાપાટ વિસ્તારના સંત હતા જેણે દુધરેજ જેવી જગ્યાનો પાયો નાખ્યો છે આ વિસ્તારની ઓળખને ઉજાગર કરવા સૌને શિક્ષણના કાર્યમાં સહભાગી થવા જણાવ્યું હતું આ પ્રસંગે પાટણ દ્વારકેશ કન્યા છાત્રાલયના સંચાલક મગનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દીકરીઓના શિક્ષણ માટે હવે સમાજ ચિંતિત બન્યો છે અમદાવાદ, પાટણ રાજકોટ જેવા શહેરોમાં હવે કન્યાઓના શિક્ષણ માટેના સંકુલો નિર્માણ પામી રહ્યા છે આવા સંકુલોમાં અભ્યાસ કરી હવે રબારી સમાજની દીકરીઓ પણ સરકારી નોકરી મેળવી અન્ય સમાજની હરોળમાં ઉભી રહેશે ખારાપાટ પરગણાની ઘણી દીકરીઓએ પાટણ છાત્રાલયમાં અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી સરકારી નોકરી મેળવી તેનો મગન દાદાએ આનંદ વ્યક્ત કર્યો હતો વધુમાં મગન દાદાએ હાલના સ્પર્ધાત્મક યુગમાં આપણા સમાજની દીકરીઓને શિક્ષણનું યોગ્ય વાતાવરણ મળી રહે અને તેઓ શિક્ષિત બની સમાજની બીજી દીકરીઓને પણ પ્રોત્સાહિત કરે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું આ પ્રસંગે રાયસણના સહદેવ કાકાએ કાર્યક્રમમાં સન્માનિત 25 કર્મચારીઓ પૈકી રાયસણના છ વિદ્યાર્થીઓને નવી નોકરીઓ મેળવી અને આજે મારા હાથે સન્માનિત થયા તેનો વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે રાયસણમાં ચાલતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપીને ખારાપાટના વિદ્યાર્થીઓને આ સંસ્થાનો વધુમાં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર કલ્પેશભાઈ ગરીયાએ ઉપસ્થિત સર્વે વિદ્યાથીઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે, હું પણ તમારી જેમ સન્માન કાર્યક્રમમાં સામે બેસતો હતો અને આજે સ્ટેજ પર મને સન્માન મળ્યું છે જો તમે પણ મહેનત કરશો તો આવી રીતે સન્માનિય પોસ્ટ પર નોકરી મેળવીને સન્માન મેળવશો વધુમાં કલ્પેશભાઈ એ નવનિયુક્ત કર્મચારીઓને સમાજ ઉત્થાનના કાર્યમાં સમયદાન આપવા અનુરોધ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, આ સન્માન સમારોહમાં 22 જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને 25 નવનિયુક્ત કર્મચારીઓને મહંત કણીરામદાસ બાપુ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ, સન્માન પત્ર, સાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નોંધનીય છે કે આ કાર્યક્રમમાં મહિલાઓની મોટી સંખ્યા ઊડીને આંખે વળગી હતી તેમજ આપણી આવનારી પેઢી એવા વિદ્યાર્થીઓ પણ સારી એવી સંખ્યામાં હાજર રહ્યા હતા શિક્ષણના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ખારાપાટ પરગણાના આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.