વડોદરા : ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવાના મુદ્દે રિક્ષાવાળાદ્વારા હુમલો. - At This Time

વડોદરા : ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવાના મુદ્દે રિક્ષાવાળાદ્વારા હુમલો.


વડોદરા શહેરમાં ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા ચાલકો વચ્ચે અવારનવાર મુસાફરો બેસાડવા બાબતે તકરાર સર્જાતી હોય છે . ત્યારે સોમા તળાવ ચાર રસ્તા પાસે બોડેલીના યુવકે ઇકો કારમાં મુસાફરોને બેસાડતા રીક્ષા ચાલકે ઇકો કારના કાચ તોડી નાંખી ડ્રાઇવરને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે . છોટાઉદેપુરના બોડેલી ખાતે રહેતા અશોકભાઈ ઇકો કારમાં સોમાતળાવથી બોડેલી સુધી ફેરા મારી પરિવારનું ગુજરાન ચલાવે છે . તેમણે ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે હું સોમા તળાવ ચાર રસ્તા પાસે મુસાફરોને મારી ઇકો કારમાં બેસાડી રહ્યો હતો . આ દરમિયાન રીક્ષા ચાલક જ્ઞાનેશ્વર ઉર્ફે કાલુ સીતારામ સીધે ( રહે - વુડાના મકાન , બાપોદ પાણીની ટાંકી સામે , વાઘોડિયા રોડ , વડોદરા ) એ મને અપશબ્દો બોલી મુસાફરોને કારમાંથી બહાર ઉતારી દેવા જણાવ્યું હતું . જેથી હુએ કારમાંથી મુસાફરોને બહાર ઉતારી દીધા હતા . ત્યારબાદ કાલુ લાકડાના દંડા સાથે ઘસી આવી મારી ઇકો કારના આગળ પાછળના તથા આજુબાજુના કાચ તોડી નાખ્યા હતા . અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . આ ઘટના દરમિયાન પ્રોટેક્શન માટે હુમલાખોરના સાગરીતો પણ આસપાસ ઉભા હોવાનું જાણવા મળ્યું હતું . ઉપરોક્ત ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . અત્રે નોંધનીય છે કે , વડોદરા શહેરના અમિતનગર સર્કલ , માણેકપાર્ક સર્કલ , વાઘોડિયા ચાર રસ્તા અને સોમા તળાવ ચાર રસ્તા અવારનવાર પેસેન્જર મુદ્દે તકરાર સર્જાતી હોય છે . તાજેતરમાં અમિત નગર સર્કલ પાસે જાહેરમાં તલવારો પણ ઉછળી હતી . સરકારી અર્થતંત્રને નુકસાન પહોંચાડવામાં વેગ આપતું સ્થાનિક વહીવટીતંત્ર આવી ઘટનાઓ બાદ દેખાડા પૂરતી કામગીરી કરે છે . અને બે દિવસ બાદ પરિસ્થિતિ યથાવત થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બને છે . ઇકો કાર અને છકડામાં ખીચોખીચ મુસાફરો ભરી વાહનચાલક મુસાફરી ખેડતા ઘણી વખત અકસ્માતને નોતરું આપે છે . ઘણીવાર અકસ્માતની ઘટનામાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે . તેમ છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ખુલી રહી નથી . ઉપરથી તંત્રની છત્ર છાયામાં આ ગોરખ ધંધો ફૂલ્યોફાલ્યો છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.