હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા - At This Time

હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી 49 લાખની આંગડીયા લૂંટ મામલે 7 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. બનાસકાંઠા પોલીસે ત્રણ અને સાબરકાંઠા પોલીસે ચાર આરોપીઓઓને ઝડપી લીધા છે. સાતેય આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ બંને જિલ્લાની પોલીસે કબ્જે કર્યો છે. આમ પોલીસે લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવતા રાહત સર્જાઇ છે. સાબરકાંઠા એલસીબીની ટીમને બાતમી મળી હતી. જેને લઈ ઇડરના વલાસણા હાઇવે તરફ વોચ ગોઠવતા વધુ ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. એલસીબી પીએસઆઈ ડીસી પરમાર અને તેમની ટીમ દ્વારા આ અંગેની વોચ ગોઠવતા આરોપીઓને વલાસણા હાઇવે પરથી ઇકો કારમાં સવાર હર્ષજી ઠાકોર, સંદીપ ઠાકોર, જયદીપસિંહ રાજપૂત અને દિવ્યરાજસિંહ રાજપૂતને ઝડપી લેવામાં આવ્ચા હતા. આરોપીઓ ઇકો કાર લઈને ઇડર તરફ આવી રહ્યા હતા અને કારમાં લૂંટ દરમિયાન તફડાવી લીધેલ સોના અને ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.