RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ બાળકોને પ્રવેશ અપાશે - At This Time

RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ બાળકોને પ્રવેશ અપાશે


વિદ્યાર્થીઓએ આગામી ૧૩મે સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે

રાજ્ય સરકાર દ્વારા સંપુર્ણ પારદર્શી રીતે RTE હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. RTE ACT હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ ૯૮,૫૦૧ જેટલી અરજીઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી ૬૮,૧૩૫ જેટલી અરજીઓ માન્ય ઠેરવવામાં આવી હતી. ૧૪,૫૩૨ જેટલી અરજીઓ અધુરા દસ્તાવેજો જેવા વિવિધ કારણોસર અમાન્ય ઠેરવાઈ હતી જ્યારે ૧૫,૮૩૪ જેટલી અરજીઓ અરજદાર દ્વારા કેન્સલ કરવામાં આવી હતી તેમ નાયબ શિક્ષણ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર રાજયની કુલ ૯૮૫૪ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ ૮૨,૮૨૦ જેટલી જગ્યાઓ RTE હેઠળ ભરવાની હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમ અનુસાર પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં ૨૭,૯૧૭ જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. RTE હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીઓને SMS થી જાણ કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ આગામી તા. ૧૩/૦૫/૨૦૨૩, શનિવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ ઉપર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં નથી આવ્યા તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ

8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.