ભારત દેશે વિવિધ ક્ષેત્રોની સાથે વીજ વિભાગ ક્ષેત્રે પણ અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરીને દેશને એક આગવી ઓળખ અપાવી છે - At This Time

ભારત દેશે વિવિધ ક્ષેત્રોની સાથે વીજ વિભાગ ક્ષેત્રે પણ અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરીને દેશને એક આગવી ઓળખ અપાવી છે


નાના ઉદ્યોગકારો જયોતિગ્રામ યોજનાનો લાભ લઇને ઘર આંગણે જ વધુ રોજગારી મેળવી રહ્યાં છે

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણી

ગઢડાના કમલમ્ હોલ ખાતે "ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય" પાવર @૨૦૪૭ "વીજળી મહોત્સવ" કાર્યક્રમ યોજાયો

તા.૩૦ જુલાઈ : “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી અંતર્ગત વિદ્યુતક્ષેત્રે થયેલ પ્રગતિ અને વિવિધ અભૂતપૂર્વ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા તથા વર્ષ ૨૦૪૭ સુધીની જુદીજુદી અપેક્ષાઓની ઝાંખી કરાવવા માટે તા. ૨૫ જુલાઈ થી ૩૦ જુલાઈ સુધી ઉર્જા મંત્રાલય,અને MNRE, રાજય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા કેન્દ્ર સરકારના સહયોગથી "ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય" પાવર @૨૦૪૭ "વીજળી મહોત્સવ" ઉજવાઈ રહ્યો છે. જે અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણીના અધ્યક્ષસ્થાને આજે બોટાદના ગઢડાના કમલમ્ હોલ ખાતે "ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય" કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણીએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે. ત્યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશે વિવિધ ક્ષેત્રોની સાથે વીજ વિભાગ ક્ષેત્રે પણ અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરીને દેશને એક આગવી ઓળખ અપાવી છે. ખેડૂતો ખેતીમાં વધુ ઉપજ મેળવી શકે તે માટે ૧૦ કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત નાના ઉદ્યોગકારો જયોતિગ્રામ યોજનાનો લાભ લઇને ઘર આંગણે જ વધુ રોજગારી મેળવી રહ્યાં હોવાનું શ્રી વીરાણીએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની ભાગીદારીની પાવર ફોર ઓલ માટેની વિવિધ યોજનાઓ જેવીકે ઉદય, આઈ.પી.ડી.એસ., ડી.ડી.યુ.જી.જે.વાય., આર.ડી.ડી.એસ., પીએમ-કુસુમ યોજના અમલમાં છે. નવીનીકરણીય ઉર્જાનો મહત્તમ લાભ લેવા શ્રી વીરાણીએ હિમાયત કરી હતી.

આ પ્રસંગે સરકારશ્રીની વિદ્યુતક્ષેત્રે થયેલ પ્રગતિ અને અભૂતપૂર્વ વિવિધ સિદ્ધિઓ વર્ણવતી વીડિયો ફિલ્મનું નિદર્શન કરવાની સાથોસાથ પરંપરાગત માધ્યમથી નાટકો રજુ કરી લોકોને વીજળીના વિવિધ સ્વરૂપો જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જાના વિવિધ ઉપયોગો વિશે લોકોને માહીતગાર કરવામાં આવ્યા હતા.

પ્રારંભે PGVCLના અધિક્ષક ઇજનેરશ્રી આર.જે.ગોવાણીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કારી ગુજરાત સરકારની વીજળી ક્ષેત્રે થયેલ સિદ્ધિઓ વર્ણવી હતી. અંતમાં નાયબ મામલતદારશ્રી વિશાલભાઇ શુક્લાએ આભારદર્શન કર્યું હતું.

આ વેળાએ અમરેલીના ભાજપ પ્રભારી મંત્રીશ્રી સુરેશભાઇ ગોધાણી, ગઢડા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન મેર, મામલતદારશ્રી પી.કે.મોહનીયા, કાર્યપાલક ઇજનેરશ્રી એન.એન.અમીન, શ્રી જી.જી. ભડાણીયા સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, બોટાદ વીજ વિભાગનો સ્ટાફગણ સહિત શહેરીજનો/ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.