અખાત્રીજના દિવસનું મહત્વ અને આ દિવસે કયા શુભ કાર્યો કરવા - At This Time

અખાત્રીજના દિવસનું મહત્વ અને આ દિવસે કયા શુભ કાર્યો કરવા


અખાત્રીજના દિવસનું મહત્વ અને આ દિવસે કયા શુભ કાર્યો કરવા

* વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવાય છે. જેને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. કારણ કે આ પવિત્ર દિવસે જે જે દાન-પુણ્ય કરીએ, જે જે જપ-તપ કરીએ તે તે અક્ષય બને છે. તેથી આ ત્રીજને અક્ષય તૃતિયા પણ કહેવાય છે.

* શાસ્ત્રએ આ તિથિને સ્વયંસિદ્ધ મૂહર્તોમાં ગણતરી કરી છે. આ દિવસે કોઈ પંચાગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી. આખો દિવસ શુભ કાર્યો માટે ખૂબ યોગ્ય હોય છે.

* નવિન વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, ફ્લેટ, મકાન, જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે. આ દિવસે ઉદ્ધાટન, ગૃહપ્રવેશ, વિવાહ, વેવીશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે.

* પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પીંડદાન કરવાથી તેમજ દાન-પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે.

*આ દિવસે ગંગાસ્નાન કરવાથી તેમજ શ્રીહરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે.

*આ દિવસે આપણામાં રહેલા તમામ દૂર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણોની અનમોલભેટ અને વરદાન માંગવાની પરંપરા છે.

* કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મી હીન થઈ ગયા હતા, ત્યારે શિવજીએ અખાત્રિજે શ્રીહરી વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું. કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુન: ધનસંપતિ પ્રાપ્ત કરી. તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે.

* ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગાદી તિથિમાં થાય ચે. સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રિજથી થયો છે.

*નારાયણ અવતાર, પરશુરામજીનો અવતાર આજ દિવસે થયો હતો. ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજ દિવસથી ખુલ્લા મુકાય છે. વૃંદાવનમાં માત્ર આ એકજ દિવસ બાંકેબીહારીના શ્રીવીગ્રહના ચરણ દર્શન થાય છે. આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો. દ્વાપરયુગનું સમાપન પણ આજ દિવસે થયું હતુ.

આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત આ દિવસથી થાય છે.

*જૈન ધર્મમાં અક્ષયતૃતિયાનું મહત્વ

જૈન ધર્મના પ્રથમ તિર્થકર ઋષભદેવ ભગવાને એક વર્ષની આકરી પૂણ તપસ્યા કરીને શેરડીના રસથી પારણા કર્યા હતા. આદીનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ-સંબંધ તોડીને જૈન વૈરાગ્ય અંગિકાર કર્યો હતો.

ભગવાન ઋષભદેવે તપના પારણા આ દિવસે કર્યા હતા તેથી જૈનધર્મમાં વર્ષીતપના પારણા અખાત્રીજે કરાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.