મહીસાગર જિલ્લામાં ગૌરવ યાત્રાના ઉમળકાભેર સ્વાગત સાથે જંગી જાહેરસભા યોજાઈ - At This Time

મહીસાગર જિલ્લામાં ગૌરવ યાત્રાના ઉમળકાભેર સ્વાગત સાથે જંગી જાહેરસભા યોજાઈ


ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીયમંત્રીઓ રાજય મંત્રીઓ સહિત ભાજપના આગેવાનોનું પુષ્પની છોળો સાથે ઉષ્માભેર સ્વાગત
ભવ્ય મંદિરો આજે ભારતના ખૂણે ખૂણે પુન:ગૌરવ પ્રાપ્ત કરી રહ્યા છે, રાષ્ટ્ર અને ધર્મ માટે કાર્ય કરતી ભાજપ સરકાર પર અમને ગૌરવ છે : દેવુસિંહ કેન્દ્રીય મંત્રી
ગુજરાત ગૌરવ યાત્રાનું મહીસાગર જિલ્લામાં આગમન થતાં કેન્દ્રીયમંત્રીઓ રાજય મંત્રીઓ સહિત ભાજપના આગેવાનોનું પુષ્પની છોળો સાથે ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શીંગનલીથી આ ગૌરવ યાત્રાને ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ વિશાળ બાઇકરેલી સાથે યાત્રાનું આગમન કરાવ્યું હતું અને મહિલા મોરચા દ્વારા પરંપરાગત સ્વાગત કરાયું હતું ત્યારબાદ જિલ્લા મથક લુણાવાડા પી એન પંડયા કોલેજ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોએ જાહેર સભા સંબોધી હતી.
ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રાજકુમાર રંજનસિંઘે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિને વંદન કરવા આવ્યો છું. કોરોના કાળમાં દુનિયાના વિકસીત દેશોએ લોકોને ભગવાન ભરોસે છોડી દીધા હતા ત્યારે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં વિના મૂલ્યે રસીકરણ અને વિનામૂલ્યે રાશન આપવાની વ્યવસ્થા કરી હતી. તેમણે દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી નયા ભારતના વિકાસની નવી શરૂઆત થઈ છે. તથા જમ્મુ-કાશ્મીરીમાંથી કલમ-૩૭૦ હટાવીને દેશના લોકોનું સપનું પુરુ કર્યુ છે તેમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે રાજ્યની ડબલ એન્જીન સરકારે દરેક મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે એમ જણાવી ગૌરવ યાત્રામાં જોડાયેલા પ્રજાજનો અને તેમના અદમ્ય ઉત્સાહ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિકાસની મહોરને વધુ મજબૂત બનાવવા પ્રજાજનોને અપીલ કરી હતી. ગૌરવ યાત્રા પર સવાલ કરવાવાળાને કેન્દ્રીયમંત્રીએ આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકારે રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કર્યું છે. પાવાગઢ મહાકાળી માતાના શિખરે પાંચસો વર્ષ પછી ધજા લહેરાઈ છે. ભવ્ય મંદિરો આજે ભારતના ખૂણે ખૂણે પુન:ગૌરવ પ્રાપ્ત કરી રહ્યા છે,રાષ્ટ્ર અને ધર્મ માટે કાર્ય કરતી ભાજપ સરકાર પર અમને ગૌરવ છે.
પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સમસ્ત મહીસાગર જિલ્લાની પ્રજા વતી ગૌરવ યાત્રાને આવકારતાં જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે તેને યાદ કરાવવાનો સંકલ્પ સાથે ગૌરવ યાત્રા પ્રજાએ ભાજપ સરકારમાં મુકેલા વિશ્વાસની યાત્રા બની છે ભરોસાની ભાજપ સરકારનો મંત્ર ગામે ગામ ગુંજી રહ્યો છે. સાંસદ રતનસિંહ રાઠોડ અને ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં ગૌરવયાત્રાના વ્યાપક જનપ્રતિસાદને વધાવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ સૌનું સ્વાગત કર્યું હતું અને મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડે આભાર વિધિ કરી હતી.
આ યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ રમિલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, જિલ્લા પ્રભારી બાળકૃષ્ણ શુક્લ, સહ પ્રભારી કૈલાસબેન, જિલ્લા અને તાલુકા,નગર મંડળના ભાજપાના હોદ્દેદારો કાર્યકરો અને વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.