સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી* - At This Time

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી*


*સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી*
--------
*સોમેશ્વર મહાપૂજા તેમજ દેવાધિદેવ મહાદેવને સ્વહસ્તે ધ્વજારોપણ કરતાં રાષ્ટ્રપતિ શ્રી*
--------
*મહાદેવ સમક્ષ શીશ ઝુકાવી સહકાર રાજ્યમંત્રીશ્રી જગદિશભાઈ વિશ્વકર્માએ પણ પ્રાપ્ત કર્યા આશીર્વાદ*
--------
*ગીર સોમનાથ, તા.૦૭:* ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ પહેલાં લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકાર મંત્રીશ્રી જગદિશભાઈ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ ગીતામંદિર હેલિપેડ પર રાષ્ટ્રપતિ શ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

મંદિરમાં સૌ પ્રથમ સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરીશ્રી યોગેન્દ્રભાઈ દેસાઈએ પુષ્પહારથી રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યુ હતું. જે પછી શરણાઈની સૂરાવલી સાથે સોમનાથના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સુરીનામના રાષ્ટ્રપતિશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રાષ્ટ્રપતિશ્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. જે પછી તેમણે દેવાધિદેવ મહાદેવને ધ્વજારોપણ પણ કરી હતી. જ્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમારે મોમેન્ટો આપી અને શાલ ઓઢાડી રાષ્ટ્રપતિશ્રીનું સન્માન કર્યુ હતું.

રાષ્ટ્રપતિશ્રીએ સોમનાથ મંદિરની મુલાકાત પુસ્તિકામાં પ્રતિભાવ લખતા જણાવ્યુ હતુ કે, “મને મળેલા સત્કાર, મિત્રભાવના અને પ્રાર્થનાઓ માટે સુરીનામ સરકાર અને સુરીનામના નાગરિકોવતી હું બધાનો આભાર વ્યક્ત કરૂં છું. અહીંની પ્રાર્થનાઓથી મારા દેશ અને દેશવાસીઓ માટે આશીર્વાદ અને સમૃદ્ધિ મળશે, ધન્યવાદ.”

આ પહેલા રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ ખાતે આગમન થતાં મંત્રી શ્રી જગદિશ વિશ્વકર્મા સહિત ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, જૂનાગઢ રેન્જ આઈજી શ્રી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિશ્રીની સોમનાથ મુલાકાત દરમિયાન, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક એસ.પી. સૈની તેમજ જિલ્લાના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.