સુરેન્દ્રનગર જિલ્લામાં હિટવેવથી બચવા માર્ગદર્શિકા જાહેર, સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ ભારે ગરમીથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું હિતાવહ - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં હિટવેવથી બચવા માર્ગદર્શિકા જાહેર, સાવચેતી રાખવા તંત્રની જાહેર અપીલ ભારે ગરમીથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું હિતાવહ


માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવથી બચવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારના કારણે અને વધુ પડતી ગરમી(લુ)ની અસરથી બચવા માટે જનહિતમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા, લુ થી બચાવ માટેના કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા છે. જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખેતરમાં કામ કરતા શ્રમિકો, રોડકામ કરતા તથા બાગ બગીચાનું કામ કરતા શ્રમિકોને સન-સ્ટ્રોક (લૂ) લાગવાની શકયતા ઘણી વધારે રહેલી છે. આ માર્ગદર્શિકા અનુસાર, ભારે ગરમીથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું હિતાવહ છે.

લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણો

દર્દીને જયારે સન સ્ટ્રોક લાગે ત્યારે તમને
ને માથું દુઃખવું, પગની એડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું. ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી ઉબકા આવવા, ચક્કર અને આંખે અંધારા આવી જાય, બેભાન થઈ જવું વગેરે પ્રારંભિક લક્ષણો જોઈ શકાય છે. અતિ ગંભીર કિસ્સામાં દર્દીને ખેંચ પણ આવી શકે છે.

લૂ થી બચવા શું શું પગલાં લેવા જોઈએ?

દર્દીએ સીધા સુર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

દિવસ દરમ્યાન ઠંડકવાળી જગ્યાએ અને છાયામાં રહેવું જોઈએ. ગરમીની ઋતુમાં સફેદ રંગના સુતરાઉ કાપડના ખુલતા અને આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા જોઈએ. ટોપી, ચશ્મા, છત્રીનો મહત્તમ રીતે ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો, અશકત અને બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.

બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો જોઈએ નહીં. તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, ગરમીની ઋતુમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત પીવું જોઈએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબુચનું દરરોજ સેવન કરવું જોઈએ. લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ. તેમ મામલતદાર ડીઝાસ્ટર, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image