રાજકોટમાંથી 10 વર્ષની બાળકીનું અપહરણ - At This Time

રાજકોટમાંથી 10 વર્ષની બાળકીનું અપહરણ


રાજકોટના ખોડીયારનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય દંપતીની દસ વર્ષની બાળકી ઘર પાસે રમવા માટે ગયા બાદ લાપતા બની હતી. દંપતીએ બાળકીની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પતો ન લાગતા અંતે પોલીસને જાણ કરી છે. આ મામલે માલવીયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી 10 વર્ષની બાળકીને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના ખોડીયારનગર મેઇન રોડ પર આશાપુરા મંદિર સામે ભાડાના મકાનમાં રહેતા મૂળ યુપીના બલિયા જિલ્લાના વતની યુવાન દ્વારા અપહરણની આ ઘટના અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પરપ્રાંતિય યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મૂળ યુપીનો વતની છે અને રાજકોટમાં રહી કારખાનામાં કામ કરે છે. તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ગઈકાલે સવારના તે કારખાને કામ પર ગયો હતો અને તેના પત્ની તથા સંતાનો ઘરે હતા. દરમિયાન તેની પત્નીનો ફોન આવ્યો હતો
તેણે વાત કરી હતી કે, સવારના દસેક વાગ્યા આસપાસ આપણી મોટી પુત્રી ઘર પાસે રમવા ગયા બાદ હજુ સુધી પરત ફરી નથી. આ વાત સાંભળી યુવાન તુરંત ઘરે પહોંચી ગયો હતો. બાદમાં પતિ-પત્ની બંને આસપાસ બાળકીની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો ત્યારબાદ તેમણે આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જાણ કરી હતી.પરપ્રાંતિય યુવાનની ફરિયાદ પરથી પીએસઆઇ એસ.એમ.સંધીએ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. 10 વર્ષની બાળકી લાપતા થયાની આ ગંભીર ઘટનાને લઇ માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે બાળકીને શોધી કાઢવા માટે ખોડીયારનગર આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજો ચકાસી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ ડી.એસ.ગજેરા ચલાવી રહ્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.