પત્ની માવતરે આંટો દેવા ગયા બાદ પતિનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

પત્ની માવતરે આંટો દેવા ગયા બાદ પતિનો ફાંસો ખાઈ આપઘાત


શહેરમાં કુવાડવા રોડ પર આવેલી ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા યુવકે પત્ની માવતરે આંટો દેવા ગયા બાદ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. યુવકના આપઘાત પાછળ ઘર કંકાસ કારણભૂત હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પર આવેલી ઉધમસિંહ ટાઉનશીપમાં રહેતા શૈલેષ પુંજાભાઈ માકડીયા નામના 40 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને બેશુધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક શૈલેષ માકડીયા મુળ વંથલીનો વતની અને હાલ ઉધમસિંહ ટાઉનશીપમાં રહી મજુરી કામ કરતો હતો. શૈલેષ માકડીયાની પત્ની પાંચ દિવસ પૂર્વે ધંધુકા રહેતા માવતરના ઘરે આંટો મારવા ગઈ હતી ત્યાંથી પરત આવી ત્યારે પતિ શૈલેષ માકડીયાનો મૃતદેહ લટકતો જોવા મળતાં તેણીએ આડોશી પાડોશીને જાણ કરતાં લોકો એકઠા થઈ ગયા હતાં.
મૃતક શૈલેષ માકડીયાએ ઘર કંકાસના કારણે આત્મઘાતી પગલું ભર્યુ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ બી.બી.કોડીયાતર અને રાઈટર મનોજભાઈ ગઢવી સહિતનાં સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.