સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત રૂ. ૩૫.૫૩ કરોડના ૨૧૦ કામોના ઈ-લોકાર્પણ અને રૂ. ૪૬.૫૭ કરોડના ૩૧૨ કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત રૂ. ૩૫.૫૩ કરોડના ૨૧૦ કામોના ઈ-લોકાર્પણ અને રૂ. ૪૬.૫૭ કરોડના ૩૧૨ કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા.


તા.21/10/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આજે સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિશ્વાસથી વિકાસયાત્રાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયો હતો. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને પંડિત દિન દયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સંબોધન કરતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે જન સુખાકારીના મંત્રને વરેલી આ ડબલ એન્જિન સરકારે વિવિધ લોકાર્પણ અને ખાતમુર્હુત કરીને દિવાળી પહેલા લોકોને મોટી ભેટ આપી જનસુખાકારીમાં વધારો કર્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં સરકારે કરેલા વિકાસની આ ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લામાં રૂ. ૩૫.૫૩ કરોડના ૨૧૦ કામોના ઈ-લોકાર્પણ અને રૂ. ૪૬.૫૭ કરોડના ૩૧૨ કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ગત વર્ષ કરતાં ૧૭ હજાર કરોડ રૂપિયાના વધારા સાથે ૨ લાખ ૪૪ હજાર કરોડ રૂપિયાનું ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપવામાં આવ્યું છે.વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે ૨૫ વર્ષ પહેલા પીવાના પાણી માટે ટેન્કરો મંગાવામાં આવતા હતા, જ્યારે અત્યારે સરકાર દ્વારા ટેન્કરરાજ સમાપ્ત કરીને રાજ્યના ૯૮% ઘરોમાં નળ થી જલ દ્વારા શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. હજારો કિલોમીટર લાંબુ કેનાલ માળખું બનાવીને સરકારએ ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચાડ્યા છે. કોરોના સમય દરમિયાન સરકારે લીધેલા પગલાઓની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું દુનિયામાં ઉદાહરણરૂપ બને તેમ રસીકરણની ઝુંબેશ ચલાવી દેશનાં પ્રત્યેક નાગરિકને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવ્યા. દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તેની તકેદારી સરકારે રાખી છે. સરકારે હાથ ધરેલા લોક કલ્યાણનાં કામો વિશે વિગતવાર જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે દસ લાખ કરતા વધારે પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો આપવામાં આવ્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યના ૫૦ લાખથી વધુ પરિવારોને પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ આપીને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે.વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી વિકાસના અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જિલ્લાને નવી આયુર્વેદ કોલેજની ભેટ મળી છે. સરકાર તરફથી જિલ્લાને નવી કેન્દ્રીય વિદ્યાલય અને એરપોર્ટ પણ આપવામાં આવશે. જેથી લોકોની સુખાકારીમાં વધારો થશે.કાર્યક્રમ અગાઉ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી ભરત પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ત્યારબાદ સરકારની સિદ્ધિઓ વર્ણવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર કે.સી.સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા આયોજન અધિકારી એન.જી.પટેલ દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ વિભાગોના રૂ.૧૨૫૩ કરોડના ૪૧૫૭ કામોના ઈ-લોકાર્પણ અને રૂ.૨૦૮૫ કરોડના ૧૨,૨૦૨ કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રૂ. ૩૫.૫૩ કરોડના ૨૧૦ કામોના ઈ-લોકાર્પણ અને રૂ. ૪૬.૫૭ કરોડના ૩૧૨ કામોના ઈ-ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.આ વિકાસ યાત્રા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, નગરપાલિકા કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી વર્ષાબેન દોશી, ધનરાજભાઇ કૈલા, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, વઢવાણ પ્રાંત અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.