લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું મહાનુભાવોના હસ્તે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે વિતરણ કરાયું - At This Time

લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું મહાનુભાવોના હસ્તે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે વિતરણ કરાયું


તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સેવા પખવાડિયામાં 'આયુષ્માન આપ કે દ્વાર',

દેશના છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પહોંચાડવા આજે ગાંધીનગર ખાતેથી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ એ આયુષ્માન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મહાનુભાવોએ ઉપસ્થિતિ રહી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ "આયુષ્માન ભવ:" અભિયાન હેઠળ દેશભરમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયામાં 'આયુષ્માન આપ કે દ્વાર', 'આયુષ્માન આરોગ્ય મેળો' અને 'આયુષ્માન સભા' ના કાર્યક્રમો યોજાશે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા જણાવ્યું હતું કે, લોકોના આરોગ્યની જાળવણી સરકાર કરી રહી છે. આરોગ્યલક્ષી કાર્યક્રમો થકી આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. જે લોકો પાસે કાર્ડ ન હોય તેમનો સંપર્ક કરી કાર્ડ કાઢી આપવામાં આવશે. આજે લોકોની બિમારીની ચિંતા સરકાર કરી રહી છે અને આરોગ્ય કવચ તરીકે આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ ગઢવીએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આભા કાર્ડની શ્રેષ્ઠ કામગીરી કરનારા અંજાર તાલુકાના ત્રણ સબ સેન્ટરો (કોટડા, આંબાપર, મથડા) ના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા અને એનકવાસમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપર અને ગોરેવલીના કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ.
આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત અદાણી મેડીકાલ કોલેજના હોલ ખાતે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજા, જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા તથા અધિક કલેકટરશ્રી ઓઝા અને ગેમ્સના ડીન શ્રી ડો.એ.એન.ઘોષ, ડાયરેક્ટર શ્રી ડો.બાલાજી પીલ્લાઈ તથા સુપ્રિ.શ્રી નરેન્દ્ર હિરાણી , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફૂલમાલી તથા સી.ડી.એમ.ઓ.શ્રી ડો.કશ્યપ બુચ સહિતના મહાનુભાવોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આયુષ્માન મેળા- હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આરોગ્ય મેળા- ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સ્તરે સાપ્તાહિક આરોગ્ય મેળા યોજાશે,જેમા મુખ્યત્વે આરોગ્ય સંભાળનો શ્રેષ્ઠ ઉપયોગ અને જન-જાગૃતિ પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામા આવશે.સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી કેમ્પ- સ્ત્રીરોગ, બાળરોગ,સર્જરી,ઇએનટી, આંખ અને મનોરોગ વગેરેમાં નિષ્ણાંતો દ્વારા સેવાઓ સુનિશ્ચિત કરવા માટે મેડીકલ કોલેજ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી કેમ્પોનુ આયોજન કરવામાં આવશે.
આયુષ્માન સભા- ૨ જી ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ ગ્રામ્ય વિસ્તારો માટે ગ્રામ્ય સ્તરની સભા (ગ્રામસભા) અને વિવિધ આરોગ્ય સંભાળ વિશે જાગૃતિ વધારવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ (વી.એચ.એસ.એન.સી.)/ શહેરી સ્થાનિક સંસ્થાની આગેવાની હેઠળ શહેરી વિસ્તારો માટે આયુષ્માન સભા યોજાશે. જેમા આયુષ્યમાન સભા થકી ગ્રામ્ય કક્ષાએ વી.એચ.એસ.એન.સી. ની મીટીંગ દ્વારા પ્રચાર-પ્રસાર કરી પી.એમ.જે.એ.વાય. કાર્ડની ઉપયોગીત અને વિતરણ, આભા કાર્ડ બનાવવા,આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા બિન-ચેપી રોગો અને સિકલસેલ રોગનું સ્ક્રીનીંગ તથા ચેપી રોગો અને ક્ષય રોગનું નિર્મુલન વિગેરે જેવા રોગો, પ્રજનન અને બાળ આરોગ્યને લગતા પ્રશ્નો, રસીકરણ, પોષણ, એનીમિયા વગેરે અંગે સમુદાયમા જાગ્રુતી ફેલાય તે પ્રકારની કામગીરી સુદઢ કરવી તેમજ સમુદાયને અનુરુપ આરોગ્ય વાતાવરણ ઉભું થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.
આયુષ્માન ગ્રામ/વોર્ડ- ઉપરોક્ત તમામ ઘટકોનુ સફળ અમલીકરણ જેવા કે, ૧૦૦% આયુષ્માન કાર્ડનું વિતરણ અને આભા આઈડીનું નિર્માણ, હાઈપરટેન્શન અને ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ તપાસ, ટીબીના દર્દીઓની ઓળખ અને સારવાર, સિકલ સેલ રોગની તપાસ અને કાર્ડ વિતરણ કરનાર ગામ/ શહેરી વોર્ડને 'આયુષ્માન ગ્રામ પંચાયત અથવા આયુષ્માન અર્બન વોર્ડ' નો દરજ્જો એનાયાત થશે.આયુષ્માન ભવઃ ઝુંબેશ હેઠળ ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી સૂચિત"સેવા પખવાડા" (૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી ૨ જી ઓક્ટોબર, ૨૦૨૩) દરમિયાન કરવામાં આવશે. અને આગળ પણ ચાલુ રહેશે. આ તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ થી ૨ જી ઓક્ટોબર,૨૦૨૩ દરમિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોના તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ (સબ હેલ્થ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સામુહિક આરોગ્યકેન્દ્ર, પેટા જિલ્લા હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજો) પર સ્વચ્છતા અભિયાન, ઓર્ગન ડોનેશન પ્લેજ ડ્રાઈવ અને રકતદાન શિબિર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ટીબીના દર્દીને મદદરૂપ થતા નિક્ષય મિત્રનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ટીબી ઓફિસર ડો.મનોજ દવે દ્વારા નિક્ષય મિત્ર અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત તેમજ અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ તકે નગરપાલિકાના ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, આર.સી.એચ.ઓ. ડો. જે.એ.ખત્રી, ડી.ટી.ઓ. ડો.મનોજ દવે , ઈએમઓ ડો.જીતેશ ખુરશીયા,સહિતના પદાધિકારી-અધિકારીઓ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, ભુજ તાલુકા આરોગ્ય સ્ટાફ અને આરબીએસકે સ્ટાફ તેમજ નર્સીંગ કોલેજની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર આર ફૂલમાલીએ આપ્યું હતું.આભારવિધિ ડો.અમીન અરોરાએ કરી હતી.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.