શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mzgja9suabhlxhcp/" left="-10"]

શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ ૧ર૧ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

 આ સંદર્ભમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાને પ૦ ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે ૧૦ વર્ષ માટે કુલ મળીને રૂ. ૯૧ કરોડ રપ લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે

 મુખ્યમંત્રીએ આ ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૩ર CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે ૭ વર્ષ માટે કુલ ર૦ કરોડ ૪૪ લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

 એટલું જ નહિ, કચ્છની ભૂજ નગરપાલિકાને પણ રર સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે કુલ રૂ. ૯ કરોડ ૦૩ લાખ ૩૭ હજારના અનુદાનની ફાળવણી માટે ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

 રાજ્યના ૮ મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે.

 રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે. રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરેલી છે

 સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની ૮ મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો વધુને વધુ લાભ મળે તેવા ઉદાત્ત અભિગમથી શરૂ કરવામાં આવી છે

રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ પ૦૦ ઇલેક્ટ્રીક અને ૬૮૯ CNG બસો મળી ૧૧૮૯ બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે

 તદઅનુસાર, અમદાવાદ-૬રપ, વડોદરા-પ૦, સુરત-૪૦૦, જુનાગઢ-રપ અને જામનગર-૧૦ એમ ૧૧૧૦ બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકાઓ પૈકી ૮ નગરપાલિકાઓમાં ૭૯ બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM મારફતે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા અને ભૂજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે સંબંધિત મહાનગર-નગરમાં બસ સેવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.

  ભૂપેન્દ્ર પટેલે આ ત્રણેય દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપતા આ સ્થળોએ PPP ધોરણે બસોના કોન્ટ્રાક્ટ બેઇઝ સંચાલન માટેનો માર્ગ સરળ બન્યો છે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]