લીલીયા ખાતે અંદાજે રુ. ૧૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજનું લોકાર્પણ - At This Time

લીલીયા ખાતે અંદાજે રુ. ૧૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજનું લોકાર્પણ


લીલીયા ખાતે અંદાજે રુ. ૧૨ કરોડના ખર્ચે
નવનિર્મિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજનું લોકાર્પણ

સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી
અને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રીની વિશેષ ઉપસ્થિતિ

અમરેલી તા. ૧૫ માર્ચ, ૨૦૨૪ (શુક્રવાર) સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઇ સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લીલીયા મુકામે રાજ્યના શિક્ષણ વિભાગ સંચાલિત કૉલેજના અંદાજે રુ. ૧૨ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનનું લોકાર્પણ થયું હતું. સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજની સ્થાપના વર્ષ ૨૦૧૫માં થઈ હતી, રાજ્ય સરકારના અનુદાનથી આ કૉલેજના વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે.
સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ, શિક્ષણ માટે થયેલા વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કરી અમરેલી જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવ્યુ હતુ. રાજયમાં શરુ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ સહિતના શિક્ષણ અભિયાનો, ગુણવત્તાસભર શિક્ષણ અને શાળાઓની વ્યવસ્થા વિશેની વિગતો આપી હતી. લીલીયા સ્થિત અત્યાધુનિક સરકારી કૉલેજના ભવન માટે રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ કે, લીલીયા ખાતેની આ સરકારી કૉલેજનું ભવ્ય ભવન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રુ. ૧૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ભવનમાં રહેલી સુવિધાઓનો લાભ કૉલેજના વિદ્યાર્થીઓને મળશે અને તેઓ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી લીલીયાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ. કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુદાનથી અમરેલી જિલ્લામાં શિક્ષણ, પાણી, રસ્તાઓ સહિત અનેકવિધ પ્રાથમિક સુવિધાઓ માટે વિકાસકાર્યો થઇ રહ્યા છે.
નવી શિક્ષણ નીતિ બાળકોની અપેક્ષાઓ મુજબનું શિક્ષણ આપનારી વ્યવસ્થા બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યુ કે, દેશમાં ૩૫ વર્ષ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. આ નવી શિક્ષણ નીતિ બાળકોની અપેક્ષા પૂર્ણ કરવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આ પ્રકારની અત્યાધુનિક કૉલેજ અને પ્રાધ્યાપકોના પ્રયાસોથી અહીં અભ્યાસ કરતા બાળકો રાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યા છે.
આ કાર્યક્રમના પ્રારંભે કૉલજના પ્રિન્સિપાલશ્રી રાઠોડે મહાનુભાવોનો સ્વાગત સત્કાર કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધી મેળવનારા કૉલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, લીલીયા તાલુકા મામલતદારશ્રી, લીલીયા તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રી વિપુલભાઈ દુધાત, અગ્રણીશ્રી ભીખાભાઈ ધોરાજીયા, સરપંચશ્રીઓ, કોલેજના અધિકારી-કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કાનપરિયાએ કર્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.