સુરતમાં વિસર્જનની જેમ ગણેશ આગમન માટે ભપકાદાર યાત્રાનો ટ્રેન્ડ - At This Time

સુરતમાં વિસર્જનની જેમ ગણેશ આગમન માટે ભપકાદાર યાત્રાનો ટ્રેન્ડ


હજારોની મેદની અને લાખો રૂપિયાનો ખર્ચ સાથે શ્રીજીને મંડપમાં પધરામણી પહેલાં યાત્રા કાઢવામાં હવે નાના મંડળો પણ બાકાત નથી રહેતા સુરત, તા. 28 ઓગસ્ટ 2022 રવિવારસુરતમાં કોરોના બાદ કોઈ પણ જાતના પ્રતિબંધ વિના ગણેશ ઉત્સવની ઉજવણી માટે સુરતીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સુરતમા છેલ્લા કેટલાક વર્ષથી ગણેશ વિસર્જનની જેમ જ ગણેશજીની પ્રતિમાની પધરામણી માટે શ્રીજી આગમન યાત્રા પણ ભપકાદાર થઈ રહી છે. પહેલાં મોટા મંડળો જ આગમન યાત્રા કાઢતાં હતા પરંતુ હવે નાના મંડળ અને રહેણાંક સોસાયટીમાં પણ ગણેશ આગમન યાત્રા શ્રદ્ધા અને ભપકાથી કાઢવામાં આવી રહી છે. તેમાં પણ વીક એન્ડ હોવાથી શહેરના અનેક રસ્તા પર આવી આગમન યાત્રા જોવા મળી રહી છે. કોરોનાની સંપુર્ણ વિદાય થઈ નથી પરંતુ જુજ કેસ આવતાં હોવાથી સરકારે ઉત્સવની ઉજવણી માટે કોઈ પ્રકારના પ્રતિબંધ રાખ્યા ન હોવાથી લોકોમાં ગણેશોત્સવની ઉજવણી માટે અભુતપુર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં વર્ષો પહેલાં ગણેશજીની વિદાય યાત્રા એટલે વિસર્જન યાત્રામાં જ ભપકો અને મોટી મેદની જોવા મળતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગણેશ આગમન યાત્રાનો નવો ટ્રેન્ડ શરુ થયો છે તેમાં હવે ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.આગામી બુધવારે ગણેશ ઉત્સવની શરૂઆત  થાય તે પહેલાં શનિ-રવિની રજામાં મોટાભાગના મોટા ગણેશ આયોજકોએ  ગણેશ આગમન યાત્રા કાઢવાની શરુઆત કરી દીધી છે. જેના કારણે જે વિસ્તારમાં આગમન હોય તે વિસ્તારમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકો ગણેશ આગમન યાત્રામાં જોડાઈ રહ્યાં છે અને તેને જોવા માટે પણ હજારો લોકો રસ્તા પર ઉતરતા જોવા મળી રહ્યાં છે. સુરતમાં છેલ્લા બે દિવસથી બાપાની આગમન યાત્રામા ગણેશ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે તે જોતાં ગણેશ આયોજકો અને ભક્તો ઉત્સવની ઉજવણી ભારે ધામધૂમથી કરશે તેવું નક્કી થઈ ગયું છે. શહેરના કોટ વિસ્તાર અને રાંદેર- અડાજણ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આ  યાત્રામા મોટા લાઇટિંગ, ડીજે. ઢોલ નગારા, લેઝીમ, પાલખી, બગી, બેન્ડ, જેવા વાજિંત્રો સાથે બાપાની આગમન યાત્રા નિકળી રહી છે. સુરતમાં પહેલાં મોટા મંડળો જ આગમન યાત્રા કાઢતા હતા પરંતુ હવે સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તેઓ પણ આગમન યાત્રા કાઢી રહ્યાં છે. તેમાં સોસાયટીના રહીશો એક જ સરખા કપડામાં બાપાને વેકલમ કરી રહ્યાં છે. આગમન યાત્રામાં રાજકારણીઓની બોલબાલાસુરતમાં ગણેશજીની આગમન યાત્રાનો  ટ્રેન્ડ શરુ થયો છે તેમાં હવે રાજકારણીઓની પણ એન્ટ્રી થઈ રહી છે. બાપાના આગમન યાત્રામાં સ્થાનિક રાજકારણીઓને હાજર રાખવા માટે આયોજકો આગ્રહ રાખી રહ્યાં છે તો બીજી તરફ આ યાત્રામાં હજારો લોકો જોડાયેલા હોય રાજકારણીઓ માટે આ એક પ્રકારની તક છે. હજારો લોકો વચ્ચે સ્થાનિક રાજકારણીઓ, પાલિકાના પદાધિકારી, કોર્પોરેટરો, ધારાસભ્યો કે મંત્રીઓ પણ આગમન યાત્રામાં જોડાઈ રહ્યાં છે તેના કારણે આગમન યાત્રાનું મહત્વ પણ વધી રહ્યું છે. આગમન યાત્રાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિસુરતમાં જે વિસ્તારમાં ગણેશ આગમન યાત્રા કાઢવામાં આવે છે તે વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામ ની સ્થિતિ થઈ જાય છે. આ યાત્રામાં  ભક્તોનું કિડીયારુ ઉભરાયું હોવાથી વાહન ચલાવવા જેટલી પણ જગ્યા બચતી નથી આવામાં જો કોઈ ભૂલમાં આગમન રુટ પર ગાડી લઈને આવી જાય તો કલાકો સુધી તેણે ટ્રાફિક માં ફસાયેલા રહેવું પડે છે. જેના કારણે લોકો દુરથી જ બાપાની શોભાયાત્રા જોઈ તો રસ્તો બદલી અન્ય રસ્તે પસાર થઈ રહ્યાં છે. જેટલા લોકો યાત્રામાં જોડાયેલા હોય અને કરતાં વધુ લોકો ગણેશજીની ભપકાદાર આગમન યાત્રા નિહાળવા આવે છે તેથી પણ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.