સાઉદીએ કહ્યું- હજમાં 1,301 યાત્રીઓના મોત:મોટાભાગના ગેરકાયદેસર રીતે મક્કા પહોંચ્યા હતા, અમે 1 લાખથી વધુ ગેરકાયદે હજયાત્રીઓની સારવાર કરી - At This Time

સાઉદીએ કહ્યું- હજમાં 1,301 યાત્રીઓના મોત:મોટાભાગના ગેરકાયદેસર રીતે મક્કા પહોંચ્યા હતા, અમે 1 લાખથી વધુ ગેરકાયદે હજયાત્રીઓની સારવાર કરી


​​​​​સાઉદી અરબમાં હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 1,301 હજ યાત્રીઓના મોત થયા છે. આમાં સૌથી વધુ ઈજીપ્તના 658 છે. આ પછી ઈન્ડોનેશિયાના 199 અને ભારતમાંથી 98 છે. જોર્ડનના 75, ટ્યુનિશિયાના 49, પાકિસ્તાનના 35 અને ઈરાનના 11 હજ યાત્રીઓના મોત થયાના અહેવાલ છે. સાઉદી અરેબિયાએ હવે આ આંકડા જાહેર કર્યા છે. માર્યા ગયેલા 658 ઇજિપ્તના હજ યાત્રીઓમાંથી 630 વિઝા વિના હજ માટે ગયા હતા. આ ભયાનક સમસ્યાનો સામનો કરવા માટે ઇજિપ્તે એક ક્રાઇસિસ સેન્ટર બનાવ્યું છે. CNNના અહેવાલ મુજબ હજ યાત્રા દરમિયાન માર્યા ગયેલા યાત્રીઓના મૃતદેહો રસ્તા પર પડ્યા હતા. તેમની વચ્ચે બાકીના હજયાત્રીઓ હજ કરવા જઈ રહ્યા હતા. આ વર્ષે મોટી સંખ્યામાં હજયાત્રીઓના મોત પાછળનું મુખ્ય કારણ ભીષણ ગરમી છે. ટૂર ઓપરેટરોએ ખોટા પેકેજનું વચન આપ્યું હતું, સ્થળ પર કોઈ સુવિધા નહીં
હજયાત્રીઓ હજ પર જવા માટે ટૂર ઓપરેટરોની મદદ પણ લે છે. આ માટે, ઓપરેટરો પેકેજને લઈને રહેવા, ખાવા-પીવા અને પરિવહન જેવી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપે છે. જો કે, ઇજિપ્તના સાંસદ મહમૂદ કાસિમે ટૂર ઓપરેટરો પર હજયાત્રીઓને છેતરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઘણા હજયાત્રીઓને ટૂર ઓપરેટરો દ્વારા યોગ્ય સુવિધા આપવામાં આવી ન હતી, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે તેમનાં મૃત્યુ થયાં હતાં. ઇજિપ્તમાં 16 કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યાં અને ટ્યુનિશિયામાં મંત્રીને બરતરફ કરાયા
ઇજિપ્તે હજયાત્રીઓને છેતરતી ટૂર ઓપરેટર કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પીએમ મુસ્તફાએ 16 કંપનીઓનાં લાઇસન્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ કંપનીઓ સામે કાર્યવાહી કરવા અને દંડ વસૂલવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. દંડમાંથી જપ્ત કરાયેલી રકમ હજયાત્રા દરમિયાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોમાં વહેંચવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ, મોટી સંખ્યામાં મૃત્યુના કારણે, ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિએ ધાર્મિક બાબતોના પ્રધાનને બરતરફ કરી દીધા. રજિસ્ટ્રેશન વગર હજ માટે આવવાના કારણે મુશ્કેલી વધી
હજયાત્રા માટે ખાસ હજ વિઝા જરૂરી છે. જો કે, તેના બદલે કેટલાક લોકો ટૂરિસ્ટ વિઝા લઈને સાઉદી આવે છે અને હજ પર જાય છે. સાઉદીના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ વખતે રજિસ્ટ્રેશન વગર હજ માટે આવતા લોકોના કારણે ભીડ વધી છે. બીજી બાજુ, વિઝા વિના હજ માટે આવતા લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં પ્રશાસનથી બચવાનો પ્રયાસ કરે છે. આ કારણોસર પણ આ વર્ષે મૃત્યુઆંક વધ્યો છે. ખરેખરમાં, નુસુક કાર્ડ હજયાત્રીઓની ઓળખ માટે આપવામાં આવે છે. જો કે, તેમની સંખ્યા વધુ હોવાને કારણે, હજ વિઝા વિના આવતા લોકોની ઓળખ કરવી મુશ્કેલ છે, જેના કારણે પ્રવાસીઓ પણ હજ કરવામાં સફળ થાય છે. હજ શું છે?
હજ એ ઇસ્લામ ધર્મમાં પાંચ ફરજોમાંની એક છે. માન્યતાઓ અનુસાર, દરેક મુસ્લિમ વ્યક્તિએ તેના જીવનમાં ઓછામાં ઓછી એકવાર આ ફરજ નિભાવવી જ જોઈએ. બીબીસી ન્યૂઝ અનુસાર, વર્ષ 628માં પયગંબર મોહમ્મદે સાહેબ પોતાના 1400 શિષ્યો સાથે યાત્રા શરૂ કરી હતી. ઇસ્લામની આ પ્રથમ યાત્રા બની અને આ યાત્રામાં પયગંબર ઇબ્રાહિમની ધાર્મિક પરંપરા પુનઃસ્થાપિત થઈ. આને હજ કહેવાય છે. દર વર્ષે વિશ્વભરમાંથી મુસ્લિમો હજ માટે સાઉદી અરેબિયાના મક્કા પહોંચે છે. હજ પાંચ દિવસ લે છે અને ઈદ અલ-અધા અથવા બકરી ઇદ સાથે સમાપ્ત થાય છે. સાઉદી અરેબિયા દરેક દેશ પ્રમાણે હજ ક્વોટા તૈયાર કરે છે. આ પૈકી ઈન્ડોનેશિયામાં સૌથી વધુ ક્વોટા છે. આ પછી પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને નાઈજીરિયા આવે છે. આ સિવાય ઈરાન, તુર્કી, ઈજિપ્ત, ઈથોપિયા સહિત અનેક દેશોમાંથી હજયાત્રીઓ આવે છે. હજયાત્રીઓ સૌ પ્રથમ સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેર પહોંચે છે. ત્યાંથી તેઓ બસ દ્વારા મક્કા શહેરમાં જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.