ગુરુગ્રામ જમીન કૌભાંડ, રોબર્ટ વાડ્રા ચાલતા ED ઓફિસ પહોંચ્યા:તપાસ એજન્સીએ બીજું સમન્સ મોકલ્યું હતું, વાડ્રાએ કહ્યું- જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા આજે, મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ ચાલતા જ પહોંચ્યા હતા. જ્યાં તેમની ગુરુગ્રામના શિકોહપુર જમીન કૌભાંડમાં પૂછપરછ કરવામાં આવશે. જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં પૂછપરછ માટે EDએ તેમને બીજું સમન્સ મોકલ્યું હતું. વાડ્રા અગાઉ 8 એપ્રિલે મોકલવામાં આવેલા પહેલા સમન્સમાં હાજર થયા ન હતા. ED ઓફિસ જતી વખતે વાડ્રાએ કહ્યું, "જ્યારે પણ હું લોકોનો અવાજ ઉઠાવું છું, અથવા રાજકારણમાં આવવાનો પ્રયાસ કરું છું, ત્યારે આ લોકો મને દબાવશે અને એજન્સીઓનો દુરુપયોગ કરશે. હું હંમેશા બધા સવાલોના જવાબ આપું છું અને આપતો રહીશ. આ કેસમાં કંઈ નથી. હું ત્યાં 20 વાર ગયો છું અને 15-15 કલાક બેઠો છું. મેં 23 હજાર ડોક્યુમેન્ટ આપ્યા છે, પછી તેઓ ફરીથી મને કહે છે, ડોક્યુમેન્ટ
આપો, આવુ થોડું ચાલે છે."
વાડ્રાની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પણ આ કેસમાં આરોપી છે. તેમના પર આરોપ છે કે તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે વાડ્રાની કંપનીને ફાયદો કરાવ્યો હતો. આ કેસ વર્ષ 2018નો છે. આ કેસ 1 સપ્ટેમ્બર, 2018ના રોજ ગુડગાંવના ખેરકી દૌલા પોલીસ સ્ટેશનમાં તૌરુના રહેવાસી સુરેન્દ્ર શર્માની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. વાડ્રા કેસ સંબંધિત સમગ્ર મામલો વિગતવાર વાંચો... 2008માં જમીનનો સોદો થયો હતો ફેબ્રુઆરી 2008માં, રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુરુગ્રામના શિકોહપુર ગામમાં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. તે જ વર્ષે, તત્કાલીન મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાના નેતૃત્વ હેઠળની હરિયાણા સરકારે 2.7 એકર જમીન પર વ્યાપારી કોલોની બનાવવા માટે લાઇસન્સ આપ્યું હતું. આ પછી, કોલોની બનાવવાને બદલે, સ્કાયલાઇટ કંપનીએ આ જમીન DLFને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી, જેના પરિણામે લગભગ 50 કરોડ રૂપિયાનો નફો થયો. IAS અધિકારીએ મ્યુટેશન રદ કર્યું 2012માં, હરિયાણાના વરિષ્ઠ IAS અધિકારી અશોક ખેમકાએ સોદામાં અનિયમિતતાઓને ટાંકીને જમીનના મ્યુટેશન (માલિકીનું ટ્રાન્સફર) રદ કર્યું હતું. ખેમકાએ દાવો કર્યો હતો કે આ પ્રક્રિયા નિયમોની વિરુદ્ધ હતી. આમાં ભ્રષ્ટાચારની આશંકા હતી. 2018માં FIR નોંધવામાં આવી હતી 2018માં, હરિયાણા પોલીસે ફરિયાદના આધારે રોબર્ટ વાડ્રા, ભૂપેન્દ્ર હુડ્ડા, DLF અને ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ સામે FIR નોંધી હતી. જેમાં છેતરપિંડી ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચારના આરોપસર IPCની કલમ 420, 120, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં IPCની કલમ 423 હેઠળ નવા આરોપ જોડવામાં આવ્યા હતા. હરિયાણા જમીન કૌભાંડ કેસમાં, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પર અન્ય લોકો સાથે મળીને છેતરપિંડી કરવાનો આરોપ છે. આ કેસમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર આ આરોપ જ્યારે આ જમીન સોદો થયો ત્યારે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા મુખ્યમંત્રી હતા. જમીન ખરીદ્યાના લગભગ એક મહિના પછી, હુડ્ડા સરકારે વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીને આ જમીન પર રહેણાંક પ્રોજેક્ટ વિકસાવવા માટે મંજુરી આપી હતી. રહેણાંક પ્રોજેક્ટ માટે લાઇસન્સ મળ્યા પછી, જમીનના ભાવ વધી જાય છે. લાઇસન્સ મળ્યાના બે મહિના પછી, જૂન 2008માં, DLFએ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પાસેથી આ જમીન 58 કરોડ રૂપિયામાં ખરીદવા સંમત થઈ ગઈ હતી. એટલે કે વાડ્રાની કંપની માત્ર 4 મહિનામાં 700 ટકાથી વધુ નફો કરે છે. 2012માં, હુડા સરકારે કોલોની બનાવવાનું લાઇસન્સ DLFને ટ્રાન્સફર કરી દીધું હતું. FIRના આધારે EDએ તપાસ શરૂ કરી આ પછી, EDને શંકા હતી કે આ સોદામાં મની લોન્ડરિંગ સામેલ હતું કારણ કે જમીનની કિંમત થોડા મહિનામાં અસામાન્ય રીતે વધી ગઈ હતી. વધુમાં, એવી પણ શંકા હતી કે ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ એક ખોટી કંપની હતી. તેનો ઉપયોગ સોદામાં ચુકવણી તરીકે કરવામાં આવ્યો હતો. જમીન ખરીદવાનો ચેક ક્યારેય જમા કરવામાં આવ્યો ન હતો. હરિયાણા પોલીસની FIRના આધારે EDએ 2018માં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ તપાસ સ્કાયલાઇટ હોસ્પિટાલિટીની નાણાકીય લેવડ-દેવડ અને સોદાની આવક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. EDને શંકા છે કે DLFને 5 હજાર કરોડનો ફાયદો થયો ED સ્કાયલાઇટ હોસ્પિટાલિટીના નાણાકીય લેવડ-દેવડ, જમીન ખરીદી અને વેચાણ અને DLF સાથેની ડીલની તપાસ કરી રહી છે. ઉપરાંત, એ પણ જોવામાં આવી રહ્યું છે કે આ ડીલથી થયેલી આવકનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો હતો. એવો આરોપ છે કે આ ડીલમાં DLFને ફાયદો કરાવવા માટે હુડા સરકારે નિયમોનું ઉલ્લંઘન કર્યું. આમાં, વઝીરાબાદમાં DLFને 350 એકર જમીન ફાળવવાનો પણ ઉલ્લેખ છે, જેનાથી DLFને કથિત રીતે રૂ. 5,000 કરોડનો ફાયદો થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
