વિશ્વ ક્ષય દિવસ : રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં 2398 દર્દી ટીબીના નોંધાયા, 141 નિક્ષય મિત્રો દ્વારા આશરે 900 ટીબીના દર્દીઓને લેવાયા દત્તક - At This Time

વિશ્વ ક્ષય દિવસ : રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં 2398 દર્દી ટીબીના નોંધાયા, 141 નિક્ષય મિત્રો દ્વારા આશરે 900 ટીબીના દર્દીઓને લેવાયા દત્તક


સમગ્ર વિશ્વમાં તા.24 માર્ચના રોજ 'વિશ્વ ક્ષય દિવસ' ઉજવવામાં આવે છે. ક્ષય રોગએ માઈક્રો બેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસીસ નામના બેકટેરિયાને કારણે ફેલાતો ચેપી રોગ છે. દેશભરમાં ક્ષય રોગને નાબૂદ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2025 સુધીમાં 'પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત' અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે જનભાગીદારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રાજકોટ ખાતે કાર્યરત જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા ક્ષય નાબૂદીની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રના ડીસ્ટ્રીકટ ટી.બી. મેડીકલ ઓફિસર ડો. બાદલ વાછાણી તથા ડો.સમીર દવેએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત' અભિયાન હેઠળ સામુદાયિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકી રહી છે તેમજ દર્દીઓને ક્લિનિકલ સપોર્ટ માટે 'નિક્ષય મિત્ર' પહેલ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં જૂન, 2022થી અત્યાર સુધી 141 નિક્ષય મિત્રો દ્વારા આશરે 900 જેટલા ક્ષયના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. તેમજ 1611 ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી.
રાજકોટ ડીસ્ટ્રીકટ ટી.બી. ઓફિસર ડો. જી. જે. મહેતાના માર્ગદર્શન મુજબ 'પ્રધાનમંત્રી ક્ષયમુક્ત ભારત' અભિયાન અંતર્ગત નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીઓને સારવાર દરમિયાન દર માસે રૂ.500 ડાયરેક્ટ બેનિફિશીયરી ટ્રાન્સફર મારફતે બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે. એટલું જ નહીં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને ડીસ્ટ્રીકટ હોસ્પિટલના સહયોગથી ક્ષય રોગ અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે કન્ટિન્યુ મેડિકલ એજ્યુકેશન મિટિંગ, કોમ્યુનિટી મિટિંગ, સ્કૂલ-કોલેજ સેનેટાઈઝેશન તથા એક્ટિવ ટી.બી. સર્વેની કામગીરી કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં ક્ષય ઉપર વિજય મેળવવા માટે આર્થિક રીતે સશક્ત નાગરિકો માટે "નિક્ષય મિત્ર" બનીને સામાજિક ઋણ અદા કરવાની સુવર્ણ તક છે. "નિક્ષય મિત્ર" ક્ષયના દત્તક દર્દીને સારવાર દરમિયાન બાજરી, જુવાર, ઘઉં, મગ, ચણા, તુવેર દાળ, સિંગદાણા, તેલ જેવા પોષણયુક્ત આહાર સહિતની અંદાજિત રૂ.500ની કીટ આપી શકે છે. "નિક્ષય મિત્ર" બનવા માટે www.nikshay.in પર નોંધણી કરી શકાય છે.
ટીબી(ક્ષય)ના લક્ષણો
બે અઠવાડિયાથી વધારે ઉધરસ આવવી
વજનમાં ઘટાડો થવો
ગળફામાં લોહી આવવું
રાજકોટ શહેરમાં ક્ષય (ટીબી)ના ગત વર્ષે 2398 દર્દી નોંધાયા
રાજકોટ શહેરમાં ક્ષયના ગત વર્ષે 2398 દર્દી નોંધાયા હતા અને તેમનું નિદાન કરી સારવાર કરવામાં આવી હતી. ક્ષયના રોગમાં 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી દર્દીની સારવાર કરવામાં આવે છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.