રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની ૨૧મી શૃંખલા ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે - At This Time

રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની ૨૧મી શૃંખલા ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે


*‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ ના ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના આયોજનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં આખરી ઓપ અપાયો*
*---------*

*બાલવાટિકાથી લઈને ધોરણ-૧૧ સુધી કુલ ૩૨.૩૩ લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.*
*• બાલવાટિકામાં પ્રવેશપાત્ર ૧૧.૭૩ લાખ • ધોરણ-૮ થી ૯માં પ્રવેશપાત્ર ૧૦.૩૫ લાખ*
*• ધોરણ-૧માં પ્રવેશપાત્ર ૩.૬૨ લાખ • ધોરણ-૧૦ થી ૧૧માં પ્રવેશપાત્ર ૬.૬૧લાખ*
*---------*
*આંકડાકીય સિદ્ધિઓ નહીં-બાળક માટે સારામાં સારું શું હોઈ શકે તે આપવા પ્રયત્ન કરીએ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
*---------*
*-: મુખ્યમંત્રીશ્રી :-*
*• સર્વાંગી વિકાસનો સૌપ્રથમ પાયો શિક્ષણ જ છે.*
*• ગ્રામ્ય થી શહેરી વિસ્તાર સુધી શિક્ષણનું સ્તર એકસમાન-સ્માર્ટ-ગુણવત્તાયુક્ત હોય તેના પર પ્રવેશોત્સવમાં ફોકસ કરવું છે.*
*• ‘નમો લક્ષ્મી’- ‘નમો સરસ્વતી’ યોજનાના લાભ માટે જિલ્લા-તાલુકા ગ્રામ્ય કક્ષાની શાળાઓના વાલીઓને સમજણ આપવાનું દાયિત્વ નિભાવીએ.*
*---------*
*શાળા પ્રવેશોત્સવ પહેલાં જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવાનું આયોજન સફળતાપૂર્વક પૂરું થયું*
*• ધોરણ ૧ થી ૧૨ ના ૫.૪૫ કરોડ પુસ્તકો-બાલવાટિકાઓમાં ૧૨.૭૪ લાખ બુક્સ પહોંચાડી દેવામાં આવી*
*---------*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજનારા ૨૧મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રીજીવારના વડાપ્રધાન પદના કાર્યકાળમાં વિકસિત ભારતનો પાયો વધુ મજબૂત બનવાનો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી પ્રતિબદ્ધતાને સાકાર કરવા શિક્ષણ જ સર્વાંગી વિકાસના પાયામાં સૌપ્રથમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

“આપણે હવે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગ્રામ્ય સ્તરથી લઈને શહેરી વિસ્તારો સુધી એક સમાન સ્માર્ટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય તેના પર આ પ્રવેશોત્સવમાં ફોકસ કરવું છે” એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પાછલા બે દાયકાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કન્યા કેળવણીની સંકલ્પના સાકાર કરવા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવે છે.

આ મહોત્સવની ૨૧મી કડી આગામી ૨૬ થી ૨૮ જૂન દરમિયાન ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે યોજાવાની છે.

૨૧મા શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તથા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ માટેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. અધિકારીઓ સહિત વર્ગ-૧ના અધિકારીઓ આ માર્ગદર્શન બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં દીકરીઓ માટે રહેલા સામાજિક, કૌટુંબિક, રૂઢિગત વિચારોને દૂર કરીને સહિયારા પ્રયાસોથી કન્યા શિક્ષણને વેગ આપ્યો છે. તેમના નિષ્ઠાવાન સફળ પ્રયાસોને પરિણામે આઠમાં ધોરણ પછી પણ દીકરીઓ ભણતી થઈ છે. એટલું જ નહીં, ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયોમાં પણ મોટો ઘટાડો લાવી શકાયો છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વધુ ને વધુ દીકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તેને પ્રોત્સાહન આપવાં ‘નમો લક્ષ્મી’ અને વિજ્ઞાન પ્રવાહમાં વધુ બાળકો આવે તે માટે ‘નમો સરસ્વતી’ યોજના આપણે શરૂ કરી છે. તેનો મહત્તમ લાભ છેવાડા સુધી પહોંચાડવા પ્રવેશોત્સવમાં જનાર સૌ કોઈ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્તરે વાલીઓને આ યોજનાઓની સમજ આપે તે જરૂરી છે.

મુખ્યમંત્રીશ્રીએ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનારા અગ્રીમ રાજ્યોમાં ગુજરાત એક છે અને વિકસિત ભારત ૨૦૪૭નો રોડમેપ શિક્ષણના સર્વગ્રાહી વિકાસથી કંડારવાનું આયોજન છે તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પ્રવેશોત્સવમાં જનારા સૌને ખાસ અનુરોધ કર્યો કે, તેઓ જે શાળાની મુલાકાત લે ત્યાંની મૂળભૂત જરૂરીયાતો-બેઝિક નીડની ખૂટતી કડીઓ હોય તો તે પણ તેમના ફીડબેકમાં આપે. આવી ખૂટતી કડી ત્વરાએ પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો શિક્ષણ વિભાગ સંબંધિત વિભાગો સાથે સંકલનમાં રહીને કરે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, શાળા પ્રવેશોત્સવનો આ શિક્ષણ સેવાયજ્ઞ વધુ લોક ભાગીદારીથી ઉત્તરોત્તર સફળતા મેળવે તેવું દાયિત્વ આપણે સૌ સાથે મળીને નિભાવીએ.

શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે ૨૧માં વર્ષમાં પ્રવેશ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકારે ગત વર્ષે બાલવાટિકા શરૂ કરી છે. આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે ૧૧.૭૦ લાખથી વધુ બાળકો પ્રવેશ લેશે. આ ઉપરાંત ૩.૬૦ લાખથી વધુ બાળકો આ વર્ષે સીધાં પહેલા ધોરણમાં પ્રવેશ લેશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ વખતે શિક્ષણ વિભાગે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને બાળકના જન્મ અને રસીકરણની વિગતો મેળવીને, દરેક પ્રવેશપાત્ર બાળકની ટેકનૉલોજિના ઉપયોગથી ઓળખ કરી છે. પ્રવેશોત્સવ પહેલાં જ પ્રવેશ મેળવનાર બાળકોની નામ સાથેની યાદી જે તે શાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યાદી મુજબનાં તમામ બાળકોને આ વખતે પ્રવેશ આપવામાં આવશે. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના માધ્યમથી પ્રવેશ બાદ પણ 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' દ્વારા સતત મોનિટરિંગ કરીને આ બાળકો શિક્ષણ પૂર્ણ કરે તેની કાળજી લેવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાંક વર્ષોમાં પ્રાથમિક શાળાઓની ભૌતિક સુવિધાઓની કાયાપલટ થઈ છે. વર્લ્ડ બેન્કની સહાયથી મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત અંદાજે ૧૫,૦૦૦ પ્રાથમિક અને ૫,૦૦૦ જેટલી માધ્યમિક શાળાઓમાં ૫૦,૦૦૦ ખૂટતા ઓરડાઓ, એક લાખ જેટલા સ્માર્ટ ક્લાસરૂમ તેમજ ૨૫,૦૦૦ જેટલી કોમ્પ્યુટર લેબ-સ્ટેમ લેબ જેવી સુવિધાઓ ટૂંક સમયમાં જ કાર્યાન્વિત થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યશ્રીઓએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને આપવામાં આવનાર શૈક્ષણિક કીટ અંગેના 'લર્નિંગ કોર્નર'ની પણ આ પ્રસંગે મુલાકાત લ‌ઈને વિવિધ સાહિત્યની માહિતી મેળવી હતી.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ દ્વારા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ના આયોજન તેમજ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ નવીન 'નમો લક્ષ્મી યોજના', 'નમો સરસ્વતી સાધના યોજના' તથા હાલમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક યોજના અંગે વિગતવાર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

શિક્ષણ સચિવશ્રીએ ઉમેર્યું કે, રાજ્યકક્ષાએ વિદ્યાસમીક્ષા કેન્‍દ્ર કાર્યરત છે તે પેટર્ન પર વિદ્યાર્થીઓના ડેટા એનાલિસીસ અને ઓનલાઈન મોનિટરીંગ માટે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જ જિલ્લા કક્ષાએ ૩૩ અને તાલુકા સ્તરે ૨૫૪ વિદ્યાસમીક્ષા કેન્‍દ્ર-ડેશબોર્ડ કાર્યરત કરાશે.

સમગ્ર કાર્યક્રમનું બાયસેગના માધ્યમથી રાજ્યભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓ-શિક્ષકો જોડાયા હતા.

આ પ્રસંગે ગુજરાતમાં શિક્ષણ વિભાગની સિદ્ધિઓ રજૂ કરતી એક ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ‌.આઈ.જોષીએ સૌનો આભાર માન્યો હતો.
---------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.