મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય* - At This Time

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય*


*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય*
*-----------*
*રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર*
*-----------*
*સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧ લાખ કર્મચારીઓ અને ૪.૭૩ લાખ પેન્શનર્સને મળશે લાભ*
*-----------*
*મોંઘવારી ભથ્થામાં વધારાની ૬ માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે*
*-----------*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
-----------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.