અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ - At This Time

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ


*અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ*
*---------*
*આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી કુલ ૧૮,૭૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે*
*---------*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી*
*---------*
*-: ગૃહ રાજ્યમંત્રીશ્રી-મુખ્ય સચિવશ્રી-પોલીસ મહાનિદેશકશ્રી બેઠકમાં ઉપસ્થિત :-*
*---------*
*લોકોના જાનમાલની સલામતી માટે જર્જરિત-ભયજનક ઇમારતો-મકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકો ત્યાં ન જાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીની તાકીદ*
*---------*
*• સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે ૪૫૦૦થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.*
*• ટ્રાફિક નિયમન માટે ૧૯૩૧ કર્મીઓ ૧૬ જેટલી ક્રેઇનની વ્યવસ્થા.*
*• ૪૭ લોકેશન્‍સ પરથી ૯૬ કેમેરા-૨૦ ડ્રોન-૧૭૩૩ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થશે.*
*• ૧૬ કિલોમીટરના સમગ્ર યાત્રા રૂટ પર ૧૪૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા.*
*• યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે ૧૭ જન સહાયતા કેન્દ્રો ઉભા કરાશે.*
*---------*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાકેશ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક અને વરિષ્ઠ અધિકારીઓ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી.

અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.

રથયાત્રાનું ઉમંગ પર્વ શાંતિ-સલામતી ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવતાં આ પ્રેઝન્‍ટેશનમાં પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને ૧૮,૭૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું કે, રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે.

સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં ૧૯૩૧ જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, ૧૬ જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમ શ્રી મલિકે ઉમેર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું.

આ સંદર્ભમાં પોલીસ કમિશનરશ્રીએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, ૪૭ જેટલા લોકેશન્‍સ પરથી ૯૬ કેમેરા, ૨૦ ડ્રોન, ૧૭૩૩ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે.

આ ઉપરાંત ૧૬ કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી ૧૪૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ૧૧ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર ૧૭ જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની ૧૩૨, મહોલ્લા સમિતિની ૧૩૬ તેમજ મહિલા સમિતિની ૩૮ બેઠકો વિવિધ ધર્મગુરુઓ સાથે ૧૮ બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે ૨૫ જેટલી બેઠકો યોજવામાં આવી હતી.

એટલું જ નહિં, એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ સમીક્ષા બેઠકમાં અમદાવાદના અધિક પોલીસ કમિશનરશ્રી તેમજ ક્રાઇમ બ્રાન્‍ચ અને ટ્રાફિક બ્રાન્‍ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.