સમાધાન:મણિપુર હિંસા વચ્ચે દિલ્હીમાં પ્રથમ વખત મેઈતેઈ-કુકી અને નાગા ધારાસભ્યોની બેઠક - At This Time

સમાધાન:મણિપુર હિંસા વચ્ચે દિલ્હીમાં પ્રથમ વખત મેઈતેઈ-કુકી અને નાગા ધારાસભ્યોની બેઠક


મણિપુરના મેઇતેઈ અને કુકી સમુદાયના લગભગ 20 ધારાસભ્યોની મંગળવારે બેઠક મળી હતી. 18 મહિના પહેલાં પૂર્વોત્તર રાજ્યમાં જાતીય હિંસા ફાટી નીકળ્યા બાદ આ પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ રાજ્યમાં ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો હતો. ગૃહમંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપના સાંસદ સંબિત પાત્રા અને નાગા સમુદાયના ત્રણ ધારાસભ્યો પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મણિપુરના સીએમ એન. બિરેનસિંહ બેઠકમાં હાજર રહ્યા ન હતા પરંતુ, કેન્દ્ર વતી વાટાઘાટકાર એ.કે. મિશ્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. મેઇતેઈ અને કુકી ધારાસભ્યો એક જ રૂમમાં એકઠા થયા હતા. છેલ્લા દોઢ વર્ષમાં 10 કુકી ધારાસભ્યોમાંથી એકે પણ મેઇતેઇના પ્રભુત્વવાળા ઇમ્ફાલમાં પગ મૂક્યો નથી. મણિપુરમાં 7 નવા જિલ્લા પરત ખેંચવા નાગા કાઉન્સિલના અલ્ટિમેટમ પછી કુકી-મેઇતેઈ વાટાઘાટો માટે તૈયાર થયા
મણિપુરમાં છેલ્લા 18 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે પ્રથમ વખત મેઇતેઈ અને કુકી સમુદાયના ધારાસભ્યો-મંત્રીઓએ મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો હતો. હિંસા શરૂ થયા બાદ આ પહેલીવાર બન્યું હતું જ્યારે બંને સમુદાયના નેતાઓ સામસામે બેસીને વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટોમાં મણિપુરના નાગા ધારાસભ્યો અને મંત્રીઓ પણ સામેલ હતા. વાસ્તવમાં આ મંત્રણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી દેખરેખમાં આયોજિત કરાઈ હતી. આ પહેલાં પણ સરકારે બંને સમુદાયો સાથે અલગ-અલગ મંત્રણા કરી ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ ઉકેલ લાવી શકાયો ન હતો. મણિપુરની વર્તમાન સ્થિતિ પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે કે સરકારે બંને સમુદાયો પર સતત દબાણ કર્યું છે જેથી કરીને રાજ્યમાં હિંસક સ્થિતિને કોઈક રીતે સામાન્ય કરી શકાય. એવી ચર્ચા છે કે મણિપુરમાં વસતા નાગા સમુદાયે તેમની માગણીઓને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે તરત જ રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાવા લાગી. વાસ્તવમાં, મણિપુરની યુનાઇટેડ નાગા કાઉન્સિલ (યુએનસી)એ 2016માં 7 નવા જિલ્લાના નિર્માણના પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અલ્ટિમેટન જારી કર્યું હતું. યુએનસીએ 15 દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. આ પછી, 8 સપ્ટેમ્બરના રોજ સીએમ બિરેન સિંહે કેબિનેટની બેઠક કરી અને તે જ દિવસે તેઓ રાજભવન ગયા અને રાજ્યપાલને મળ્યા હતા. નાગા કાઉન્સિલની માગ સરકાર માટે એક તક
મણિપુરમાં ઘણા દાયકાઓથી પત્રકારત્વ કરી રહેલા વરિષ્ઠ પત્રકાર પ્રદીપ ફંજોબમનું કહેવું છે કે હિંસા લાંબા સમયથી ચાલી રહી છે અને બંને સમુદાયો જાણે છે કે તેનો ઉકેલ વાતચીતથી જ આવશે. આ સિવાય નાગા કાઉન્સિલની તીવ્ર માગ બાદ સરકારને દબાણ લાવવાનો મોકો મળ્યો. તેથી, આ તકને ધ્યાનમાં રાખીને સરકાર કુકી અને મેઈતેઈ સાથે મળીને વાત કરવા સંમત થઈ. ‘સ્વાયત્ત પ્રશાસન’ પર સર્વસંમતિ સંભવ
બંને સમુદાયનાં નાગરિક સંગઠનોની બેઠક યોજાશે. હાલમાં આ સંસ્થાઓ બંને સમુદાયનું નેતૃત્વ કરી રહી છે, તેથી તેમની બેઠક પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. એક કુકી નેતાએ કહ્યું કે અમારા ધારાસભ્યો બેઠકમાં લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા અને તેઓએ તેમના વિચારો વ્યક્ત કર્યા છે. કુકી- જો વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશના સ્વરૂપમાં અલગ વહીવટ ઇચ્છે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.