અગ્નિકાંડ બાદ ચૌકી ઢાણી, TGM, શિવશક્તિ હોટેલ સીલ કરવામાં આવી
અગ્નિકાંડ બાદ 'રૂડા’ પણ એક્શનમાંઃ બીયુ, ફાયર એનઓસી, કમ્પ્લિશન સર્ટિફિકેટ ન હોય એટલે સીલ લાગશે જઃ અત્યાર સુધીમાં સ્કૂલ, હોટેલ સહિતની ૩૩ મિલકતોને લાગ્યા તાળાં
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા મહાપાલિકા અને રૂડા તંત્રએ સફાળા જાગીને ચેકિંગ ઝુંબેશ શરૂ કરી દીધી છે. અત્યારે દરેક મિલકત પાસેથી બિલ્ડિંગ યુઝ (બીયુ) સાધકિટ, કમ્પલીશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસી છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવી રહી છે. મહાપાલિકા દ્વારા આઠ દિવસથી ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન અનેક મિલકતો ઝપટે ચડયા બાદ હવે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) પણ એક્શનમાં આવી ગયું છે અને તેણે પણ એક પછી એક હોટેલ, સ્કૂલ સહિતની મિલકતોને સીલ લગાવવાનું શરૂ કર્યું છે. રૂડા દ્વારા જામનગર રોડ ઉપર આવેલી ચૌકી ઢાણી, ધ ગ્રાન્ડ મુરલીધર, શિવશક્તિ હોટેલ સહિતની ૩૩ મિલકતોને સીલ મારી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે
આ અંગે રૂડાના ટાઉન પ્લાનિંગ ઓફિસર દીપક નીમાવતે જણાવ્યું કે અગ્નિકાંડ બાદ રૂડા દ્વારા પણ સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉપરોક્ત હોટેલ-સ્કૂલ સહિતની મિલકતોમાં બીયુ, કમ્પલીશન સર્ટિફિકેટ અને ફાયર એનઓસીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જો આ ત્રણમાંથી એક પૂરાવો પણ ન હોય એટલે તેને તુરંત સીલ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ચૌકીઢાણી, ધ ગ્રાન્ડ મુરલીધર, શિવશક્તિ, અનંતા ગાર્ડન સહિતની હોટેલો કે જ્યાં લોકો વધુ સંખ્યામાં એકઠા થઈ રહ્યા હોય તેને સીલ લગાવી દેવામાં આવ્યું હતું.
હવે સીલ થયેલી 33 મિલકતો દ્વારા ત્રણેય પૂરાવા રજૂ કરાયા બાદ જ સીલ ખોલવા દેવામાં આવશે. અત્યાર સુધી આ અંગે કોઈ પ્રકારની રજૂઆત આવી નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. હોટેલ ઉપરાંત સ્કૂલ સહિતની મિલકતોનું પણ ચેકિંગ અલગ-અલગ છ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રૂડા દ્વારા તેના વિસ્તારમાં આવેલી હોટેલ, સ્કૂલ સહિતની મિલકતોનો સર્વે ચાલી રહ્યો છે જે પૂર્ણ થયા બાદ કેટલી સ્કૂલ, કેટલી હોટેલો આવેલી છે તેની જાણકારી જાહેર કરવામાં આવશે
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)