સરદાર સરોવરમાં ૫૦ ટકાથી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૨ ટકાથી વધુ જળસંગ્રહ - At This Time

સરદાર સરોવરમાં ૫૦ ટકાથી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૨ ટકાથી વધુ જળસંગ્રહ


*સરદાર સરોવરમાં ૫૦ ટકાથી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૨ ટકાથી વધુ જળસંગ્રહ*
*********
*સૌરાષ્ટ્રના બે જળાશયો વાંસલ અને વઘાડિયા સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ*
*********
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૫૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૬૯,૨૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૦.૬૬ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૮૧,૯૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૨.૪૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-૨ અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ પાંચ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-૧, અને ફુલઝર(કેબી), જૂનાગઢના બાંટવા-ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી-૨ ડેમનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૩૫.૩૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૧.૫૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૨.૬૨ ટકા, કચ્છના ૨૦માં ૨૧.૫૭ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૩ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૩માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૪૮.૭૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૨.૦૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૫.૩૯ ટકા, કચ્છના ૨૦માં ૫૦.૯૫ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૭.૧૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

ઋચા રાવલ
*********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.