સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ઉત્તરાખંડનાં પ્રવાસે - At This Time

સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ઉત્તરાખંડનાં પ્રવાસે


સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ઉત્તરાખંડનાં પ્રવાસે

જીવદયા ગૌ સેવાનાં પ્રશ્નો અંગે ઉત્તરપ્રદેશ કેબીનેટ મંત્રી ધર્મપાલસિંહ સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓને, ગૌ સેવકોને રૂબરૂ મળીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ, સંબંધિતોને રજૂઆત કરાઈ

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ગીરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીના માર્ગદર્શન હેઠળ સમસ્ત મહાજનની ટીમ દ્વારા જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ઉત્તરાખંડનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસ દરમિયાન વિવિધ રાજ્યોના નેતાઓ, મંત્રીઓ અને સત્તાધારીઓને મળીને જીવદયા, ગૌસેવા અંગેના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી રહી છે.
આ અંગે ઉત્તરપ્રદેશનાં પશુધન અને દૂધ વિકાસ મંત્રી ધર્મપાલસિંહ, નાના પ્રાણી વિભાગના અધિક નિયામક ડૉ. એ. કે વર્મા, પશુપાલનખાતાનાં ડાયરેક્ટર આર. એન સિંઘ, એનીમલ વેલ્ફેર બોર્ડનાં ભૂતપૂર્વ સેક્રેટરી ડૉ. નીલમ બાલા, લખનઉ આઈ.એ.એસ ડૉ. અરવિંદ રાવ, લખનઉ ગૌ સેવા આયોગ સચિવ ડૉ. પ્રતિક સિંહ, લખનઉનાં ચીફ વેટરનરી ઓફિસર અને કાન્હા ઉપવનના સી.ઈ.ઓ ડૉ. અભિનવ વર્મા સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓને સમસ્ત મહાજનનાં ડૉ. આર. બી ચૌધરી અને ટીમ દ્વારા રજૂઆત કરાઈ.રાજ્યમાં ગૌશાળાઓ, પાંજરાપોળોને મળતી સબસીડીની રકમ વધારીને પશુ દીઠ રૂપિયા 100 કરવામાં આવે, રાજ્યમાં 1962 પશુ એમ્બ્યુલન્સ શરુ થાય અને તેનો વ્યાપ પણ ખુબ વધે જેથી ગ્રામ્ય કક્ષાએ પણ પશુ, પક્ષીઓની નિ:શુલ્ક સારવાર અને જીવતદાન મળે, બે દિવસીય પ્રાણી કલ્યાણ, ગૌ આધારિત ખેતી, ગૌ આધારિત વ્યવસ્થા, જીવદયા વિષે જાણકારી આપતો સેમીનાર અથવા શિબિરનું આયોજન કરવા માટે વિનંતી કરાઈ છે. અધિકારીઓનું ભગવાન રામની મૂર્તિ અને ગાય માતાની મૂર્તિ આપીને અભિવાદન કર્યું હતું.
સમસ્ત મહાજનની સેવાભાવી ટીમનો આ પ્રવાસ હજુ પણ ચાલુ જ છે. આગામી સમયમાં વિવિધ રાજ્યોનાં મંત્રીઓને જીવદયા અંગેની રજુઆતો જેવી કે દરેક ગૌશાળાઓ અને પાંજરાપોળોને દૈનિક, પશુ દીઠ, કાયમી સબસિડી વધારીને 100 કરવા આવે. ગૌશાળા, પાંજરાપોળોને જે સબસીડી આપવામાં આવે છે તે નિયમિત સંસ્થા હોય તેને એક હપ્તો એડવાન્સમાં આપવાનું નકકી કરવામાં આવે જેથી સંસ્થા રોજબરોજના ઘાસના ખરીદીને પહોંચી વળે. સબસીડી આપવાની અરજીની જે પ્રોસેસ છે તે બધી જ ઓનલાઈન થાય તેમજ તેનો દરેક સ્ટેજે મીનીમમ દીવસમાં નિકાલ થાય તેમજ સંસ્થા દ્વારા તે બાબત ઓનલાઈન ટ્રેક કરી શકાય તેવી સીસ્ટમ અમલમાં મુકવામાં આવે તો તે સંસ્થાઓ માટે ખુબ જ ઉપયોગી થશે, જીવદયા પ્રેમીઓને આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ–ચારાની અનુપ્લબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની ચર્ચા કરીને તેમજ ગૌશાળા, પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ પર પ્રતિબંધ લાદવા, ભારતના 6.50 લાખ ગામડાઓની ગૌચરનો વિકાસ કરવા, દેશી વૃક્ષોનાં વાવેતરમાં વધારો કરવો, જળ સંરક્ષણ અંગેના પ્રશ્નો, સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે.
સમસ્ત મહાજનની ટીમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગાય સેવા, જીવદયા, જીવરક્ષા, અભયદાન અને શાકાહારના પ્રચારને પ્રોત્સાહન આપવા માટે હંમેશા મદદરૂપ બનવાનો પ્રયત્ન કરશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.