અક્ષર-પુરુષોત્તમ દર્શન પર પંચદિવસીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન - At This Time

અક્ષર-પુરુષોત્તમ દર્શન પર પંચદિવસીય આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન


સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ તથા BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત પ્રયાસથી તારીખ 17 થી 21 જાન્યુઆરી સુધી પંચદિવસીય આંતરરાષ્ટ્રીય વિદ્વત્સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય વિષય અક્ષરપુરુષોત્તમ દર્શન – ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને પ્રવર્તન છે, આ પરિસંવાદનો ઉદ્ધાટન સમારોહ તારીખ 17 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સોમનાથ યુનિવર્સિટીના કુલપતિશ્રી સુકાંતકુમાર સેનાપતિ, સોમનાથ યુનિવર્સિટી સંચાલિત કોલેજના પ્રધાનાચાર્ય નરેન્દ્રકુમાર પંડ્યા, શ્રી સોમનાથ યુનિવર્સિટીના દર્શન વિભાગના અધ્યક્ષ જાનકીશરણ આચાર્ય તથા L.D આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષશ્રી ગજેન્દ્રકુમાર પંડા પધાર્યા હતા. આ સાથે BAPS સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીજી તથા આર્ષ શોધ સંસ્થાનના અધ્યક્ષ પૂજ્ય શ્રુતિપ્રકાશદાસ સ્વામી, તથા સંત તાલીમ કેન્દ્રના અધ્યાપક સંત પૂજ્ય નારાયણમુનિ સ્વામી અને પૂજ્ય અક્ષરચરણ સ્વામી તથા BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહામહાવિદ્યાલયના પ્રાધાનાચાર્ય શ્રી સાગરભાઈ આચાર્યની વિશિષ્ટ ઉપસ્થિતિ હતી આ ઉદ્ઘાટન સત્રનો મંગલ આરંભ વૈદિક મંગલાચરણ તથા દીપ પ્રાગટ્ય દ્વારા થયો ત્યારબાદ અતિથિઓએ પોતાના વક્તવ્ય આપી અક્ષરપુરુષોત્તમ દર્શનનો મહિમા જણાવ્યો જેમાં નરેન્દ્ર પંડ્યાજીએ પોતાના વક્તવ્યમાં શાસ્ત્રો દ્વારા પરમાત્માના સ્વરૂપને સમજવાની તથા અક્ષરપુરુષોત્તમ દર્શનને શાસ્ત્રોક્ત તથા સનાતન દર્શન તરીકે જણાવ્યું. તથા કુલપતિશ્રી સુકાંતકુમાર સેનાપતિજીએ સારંગપુર સ્થિત મહાવિદ્યાલયની વિશેષતા જણાવતા કહ્યું કે ‘આ વિદ્યાલયમાંથી તૈયાર થતાં વિદ્યાર્થીઓ જ તેનું સાચું ફળ છે તથા અન્ય માટે ઉદાહરણરૂપ છે.’ તથા અક્ષરપુરુષોત્તમ દર્શન માટે તેઓએ જણાવ્યું કે, 'આ દર્શન કોઈ ભ્રમ કે મિથ્યા નથી પરંતુ સત્ય છે અને કળિયુગમાં શાંતિ આપનારું છે.’ મહામહોપાધ્યાય પૂજ્ય સાધુ ભદ્રેશદાસ સ્વામીજીએ પોતાના વિશિષ્ટ મનનાત્મક આધાર પ્રવચન દ્વારા પરિસંવાદના મુખ્ય વિષય ‘અક્ષરપુરુષોત્તમ દર્શનના તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અને પ્રવર્તન’ પર વિશેષ પ્રકાશ કર્યો. આ સાથે BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય વિવેકસાગર સ્વામી તથા વર્તમાન ગુરુ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે પણ આ પરિસંવાદ અંગે વિડિયો સંદેશ તથા આશીર્વાદ પાઠવ્યા હતાં. ત્યારબાદ આચાર્ય પૂજ્ય જ્ઞાનતૃપ્તદાસ સ્વામી દ્વારા સંપાદિત સંસ્કૃત ભાષામાં અનુદિત ‘वचनामृतसंग्रहः’ નામના પુસ્તકનું વિમોચન અતિથિઓ દ્વારા થયું. આ પરિસંવાદમાં દેશ-પરદેશના વિવિધ શોધછાત્રો તથા વિદ્વાનો અક્ષરપુરુષોત્તમ દર્શનના ભવ્ય ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને પ્રવર્તન પર પોતાના શોધપત્રો દ્વારા ચિંતન-મનન રજૂ કરશે, જે વૈદિક અક્ષરપુરુષોત્તમ દર્શનને સમજવા માટે ઉપયોગી બની રહેશે. આમ આ પરિસંવાદ ભારતીય શાસ્ત્રોની ગરિમા જાળવવા માટે ઉપકારક નીવડશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.