તિરુપતિ લાડુ વિવાદ, SITની તપાસ અટકાવાઈ:આંધ્ર પોલીસે કહ્યું- સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આગળની તપાસ કરીશુ - At This Time

તિરુપતિ લાડુ વિવાદ, SITની તપાસ અટકાવાઈ:આંધ્ર પોલીસે કહ્યું- સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આગળની તપાસ કરીશુ


​​​​​​આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)માં પ્રસાદમ (લાડુ)માં પશુઓની ચરબીનો ઉપયોગ કરવાના મામલામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ અટકાવી દેવામાં આવી છે. રાજ્યના ડીજીપી દ્વારકા તિરુમાલા રાવે કહ્યું કે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. આગામી સુનાવણી 3 ઓક્ટોબરના રોજ થશે, તેથી ત્યાં સુધી SIT તપાસ હાથ ધરવામાં આવશે નહીં. સુનાવણી પછી, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, SIT તપાસ આગળ વધારવી કે નહીં તે નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસમાં SITએ લાડુની ખરીદી અને નમૂના લેવાની પ્રક્રિયાની તપાસ કરી અને એ સમજવાનો પ્રયાસ કર્યો કે લાડુમાં ભેળસેળ કેવી રીતે થઈ શકે છે. રાવે કહ્યું કે SIT પહેલા આ પ્રક્રિયાને સમજવા અને તેનાથી સંબંધિત તમામ માહિતી એકત્ર કરવા માંગતી હતી, પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો. 30 સપ્ટેમ્બરના રોજ, SITએ તિરુમાલામાં ફ્લોર મિલનું નિરીક્ષણ કર્યું હતું અગાઉ 30 સપ્ટેમ્બરે SITએ ઘણી જગ્યાએ તપાસ કરી હતી. SIT અધિકારીઓએ તિરુમાલામાં ફ્લોર મિલનું નિરીક્ષણ કર્યું. અહીં ઘીનો સંગ્રહ થાય છે. આ ઘીનો ઉપયોગ લાડુના પ્રસાદમાં થાય છે. SIT ચીફ સર્વશ્રેષ્ઠ ત્રિપાઠી અને તેમની ટીમે તિરુમાલામાં ઘી ટેન્કરો અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) લેબની પણ તપાસ કરી હતી. તિરુપતિ મંદિરમાં નંદિની ઘીમાંથી લાડુ બનાવવામાં આવી રહ્યા છે, GPS દ્વારા ઘી સપ્લાયર પર નજર રાખવામાં આવે છે
તિરુપતિ મંદિરમાં હવે નંદિની ઘીનો ઉપયોગ લાડુ બનાવવા માટે થઈ રહ્યો છે. નંદિની કર્ણાટક મિલ્ક ફેડરેશનની લોકપ્રિય બ્રાન્ડ છે. વિવાદ વચ્ચે માત્ર એક મહિના પહેલા જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ કર્ણાટક મિલ્ક ફેડરેશનને ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કર્ણાટક મિલ્ક ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર એમકે જગદીશે જણાવ્યું હતું કે, અમે અમારા વાહનોમાં જીપીએસ સિસ્ટમ અને જિયો લોકેશન ડિવાઇસ લગાવ્યા છે. આ વાહનો મંદિરમાં ઘી પહોંચાડે છે. જીપીએસ સિસ્ટમ લગાવવાથી અમને ખબર પડે છે કે વાહન ક્યાં અટક્યું છે, જેથી ભેળસેળ અટકાવી શકાય. કર્ણાટક મિલ્ક ફેડરેશનને 350 ટન ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. ડેપ્યુટી CMનું 11 દિવસનું પ્રાયશ્ચિત, પૂર્વ સીએમ જગનને મંદિરમાં જવા દેવાયા નહીં તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુની ચરબીનો મામલો સામે આવ્યા બાદ સતત રાજકારણ ચાલી રહ્યું છે. ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે રવિવાર (22 સપ્ટેમ્બર)થી 11 દિવસની પ્રાયશ્ચિત દીક્ષાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેઓ ઉપવાસ કરશે. પવને કહ્યું- મને અફસોસ છે કે મને અગાઉ ભેળસેળ વિશે કેમ ખબર ન પડી. મને દુઃખ થયું છે. હું આનું પ્રાયશ્ચિત કરીશ. જ્યારે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીને મંદિરમાં જવા દેવામાં આવ્યા નહોતા. જગન 28 સપ્ટેમ્બરે તિરુપતિના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં વિશેષ ધાર્મિક વિધિ કરવાના હતા. તેમને એક દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે YSRCP પાર્ટીના કાર્યકરોને તિરુમાલા મંદિરમાં જવાની મંજૂરી નથી. પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની પવિત્રતાને અભડાવવા અને પ્રખ્યાત તિરુપતિ લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની ભેળસેળના આરોપો બાદ હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. હૈદરાબાદના સૈદાબાદ પોલીસ સ્ટેશનમાં વકીલે આ ફરિયાદ નોંધાવી છે. આ વિવાદ કેવી રીતે સામે આવ્યો
કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું હતું. તિરુપતિ મંદિરમાં દર છ મહિને 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. જુલાઈ 2023માં કંપનીએ ઓછા દરે સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ જગન સરકારે (YSRCP) 5 કંપનીઓને સપ્લાયનું કામ આપ્યું હતું. આમાંની એક એઆર ડેરી ફૂડ્સ ડિંડીગુલ, તમિલનાડુની છે. આ વર્ષે જુલાઈમાં તેના ઘીમાં ભેળસેળ જોવા મળી હતી. TDPની સરકાર આવી, જુલાઇમાં સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો, ફેટ કન્ફર્મ TDP સરકારે જૂન 2024માં વરિષ્ઠ IAS અધિકારી જે શ્યામલા રાવને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના નવા કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે પ્રસાદમની ગુણવત્તા તપાસવાનો આદેશ આપ્યો. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ પ્રસાદનો સ્વાદ અને ગુણવત્તા સુધારવા માટે ઘણાં સૂચનો આપ્યાં હતાં તેમજ ઘીના નમૂના ટેસ્ટિંગ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), ગુજરાત મોકલવામાં આવ્યા હતા. જુલાઈમાં સામે આવેલા રિપોર્ટમાં ફેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી TTDએ તામિલનાડુના ડિંડીગુલની એઆર ડેરી ફૂડ્સ દ્વારા મોકલવામાં આવેલો ઘીનો સ્ટોક પરત કર્યો અને કોન્ટ્રેક્ટરને બ્લેકલિસ્ટ કરી દીધો. આ પછી TTDએ કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું હતું. જૂના સપ્લાયર પાસેથી 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘી ખરીદવામાં આવતું હતું. હવે તિરુપતિ ટ્રસ્ટ કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન (KMF) પાસેથી 475 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘી ખરીદી રહ્યું છે. ઘીની શુદ્ધતા પરીક્ષણ લેબ NDDB CALF (આણંદ, ગુજરાત) ઘીની શુદ્ધતા ચકાસવા માટે તિરુપતિને એક મશીન દાનમાં આપવા સંમત થઈ છે. એની કિંમત 75 લાખ રૂપિયા છે. CM નાયડુએ લેબ રિપોર્ટ જાહેર કર્યો , વિવાદ વધ્યો જુલાઈમાં સામે આવેલા રિપોર્ટમાં લાડુમાં પશુની ચરબી હોવાની પુષ્ટિ થઈ હતી. જોકે ટીડીપીએ બે મહિના બાદ રિપોર્ટ જાહેર કર્યો હતો. સીએમ નાયડુએ 18 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ જગન સરકાર દરમિયાન તિરુપતિ મંદિરમાં લાડુ માટે વપરાતા ઘીમાં પશુની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હતું. ટીડીપીએ પણ લેબ રિપોર્ટ બતાવીને પોતાના આરોપોની પુષ્ટિ કરવાનો દાવો કર્યો છે. નાયડુએ કહ્યું, જ્યારે બજારમાં ઘી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું ત્યારે જગન સરકારે 320 રૂપિયામાં કિલો ઘી ખરીદ્યું. આવી સ્થિતિમાં સપ્લાયર દ્વારા ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવી જોઈએ. જગન સરકાર દ્વારા ઓછી કિંમતના ઘીની ખરીદી અંગે તપાસ થશે. પશુઓની ચરબી ધરાવતા ઘીમાંથી બનેલા લાડુથી તિરુપતિ મંદિરની પવિત્રતા કલંકિત થઈ છે. 300 વર્ષ જૂનું રસોડું, માત્ર બ્રાહ્મણો બનાવે છે 3.5 લાખ લાડુ તિરુપતિ મંદિર વિશ્વના સૌથી લોકપ્રિય અને સૌથી ધનાઢ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. દરરોજ લગભગ 70 હજાર ભક્તો અહીં ભગવાન વેંકટેશ્વર સ્વામીનાં દર્શન કરે છે. એનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ્સ (TTD) દ્વારા નિયંત્રિત થાય છે. મંદિર પરિસરમાં બનેલા 300 વર્ષ જૂના રસોડા 'પોટુ'માં શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરીને દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય પ્રસાદ છે, જે લગભગ 200 બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવે છે. લાડુમાં શુદ્ધ ચણાનો લોટ, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે. જાન્યુઆરી 2024માં રામમંદિરના અભિષેક સમયે ટ્રસ્ટે લગભગ એક લાખ લાડુ અયોધ્યા મોકલ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image