બ્રિટન ચૂંટણી:PM ઋષિ સંકટમાં, સરવેમાં ભારતીય મતદાર વિરોધમાં - At This Time

બ્રિટન ચૂંટણી:PM ઋષિ સંકટમાં, સરવેમાં ભારતીય મતદાર વિરોધમાં


બ્રિટનમાં 4 જુલાઈએ મતદાન થશે. વડાપ્રધાન ઋષિ સુનક પર હારનું જોખમ તોળાઈ રહ્યું છે. યુગોવના સરવે મુજબ, સુનકની સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીને ભારતીય મતદારો તરફથી પણ સમર્થન નથી મળી રહ્યું. અહીંના 65% ભારતીય મતદારો સુનકની પાર્ટીની વિરુદ્ધ છે. બ્રિટનમાં લગભગ 25 લાખ ભારતીયો મતદાન કરશે. સરવેમાં સામેલ ભારતીય મતદારોનું કહેવું છે કે વડાપ્રધાન સુનકના લગભગ દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીયોની તરફેણમાં કોઈ મોટું પગલું લેવામાં આવ્યું નથી. વિઝા નિયમો પહેલાં કરતાં વધુ કડક બનાવાયા છે. સુનક પણ મોંઘવારી અને રોજગારના મુદ્દે નક્કર પગલાં લઈ શક્યા નથી. સુનક ભારતીય મૂળના હોવાને લીધે અહીં રહેતા ભારતીયોનો ઝુકાવ કન્ઝર્વેટિવ પાર્ટી પ્રત્યે હશે. સુનકે પણ આઉટ રિચનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થયા નહીં. 50 સીટો પર ભારતીય વોટર નિર્ણાયક ભૂમિકા ભજવે
બ્રિટનની 650માંથી લગભગ 50 બેઠકો પર જીત કે હારમાં ભારતીય મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમાંથી લેસ્ટર, બર્મિંગહામ, કોવેન્ટ્રી, સાઉથ હોલ અને હેરોસ જેવી 15 સીટો પર છેલ્લી બે ચૂંટણીમાં માત્ર ભારતીય મૂળના ઉમેદવારો જ જીતી રહ્યા છે. આ વખતે આ બેઠકો પર સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી પ્રત્યે ભારતીય મતદારો નારાજ છે. આ બેઠકો પર વિપક્ષી લેબર પાર્ટીના ઉમેદવારોને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. હાલમાં કન્ઝર્વેટિવ પાસે આ 15માંથી 12 બેઠકો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.